સર ભગને પોતાના બાહુ પસાર્યા.
વખત વેરસી કાઠિયાવાડી ઢબે સર ભગનને ભેટી પડ્યા.
જાનૈયાઓ તો આ દૃશ્ય જોઈને ડઘાઈ જ ગયા.
તુરત પોલીસના પહેરેગીરે ૫ડકાર કર્યો :
‘ખબરદાર ! જુદા પડો !’
‘કેમ અલ્યા, તારો કિયો ગરાસ લૂંટાઈ ગયો ?’ વખત વેરસીએ પૂછ્યું.
‘બે ગુનેગારો ભેગા ન થઈ શકે.’
‘ગુનેગાર ?’ જાનૈયાઓને પણ નવાઈ લાગી.
સર ભગને વેવાઈને સમજાવ્યું.
‘હું જરાક સાંકડા ભોંણમાં આવી ગયો છું, માફ કરજો, આ મહાચંડી યજ્ઞ કરાવતાં મારે હાથે જરા ટેક્નિકલ ભૂલ થઈ છે, એટલે મને જેલમાં નાખ્યો છે. પણ એને તો હું પહોંચી વળીશ.’
વખત વેરસીએ પડકાર કર્યો :
‘અરે, તમને જેલમાં નાખનાર છે કોણ ? ચીરીને મીઠું ભરી દઈએ.’
જાનૈયાએ તુરત આ પડકારમાં પોતાના સૂર પુરાવી દીધા :
‘અરે, અમારા વહાલા વેવાઈની આબરૂ ઉપર કોઈ હાથ નાખી જાય તો થઈ જ રહ્યું ને ? એની સાત પેઢીની ઓખાત ખાટી કરી નાખીએ.’
‘અમે કોણ ? જલાલપર–બાદલાના રહેવાસી, ઓછાં ઊતરીએ તો અમારી પાંદરડી નદીનું પાણી લાજે પાણી.’
‘તમને જેલમાં નાખનારને અમે ચપટીમાં ચોળી નાખીએ. અવાજ કરો એટલી જ વાર.’
‘અત્યારે તો એક જ કામ કરો.’
‘એક શું એકવીશ ચીંધો.’
‘તમારે જલાલપરમાં કાંઈ સ્થાવર મિલક્ત જેવું છે ખરું ?’