આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૪.
બુચાજીનું સ્વપ્ન
 


'‘આ શું ? શાનો ગોકીરો છે ?’

‘ગુરુચરન બરાડા પાડતો લાગે છે.’

‘કોઈને ઝાંપાને બારણે અટકાવ્યો લાગે છે.’

‘એ તો પેલો નાચણિયો–કૂદણિયો હશે.’

‘નહિ પપ્પા, કંદર્પકુમાર હવે કોઈ દિવસ આ ઘરમાં પગ નહિ મૂકે,’ તિલ્લુએ વચ્ચે ખુલાસો કરી દીધો. ‘આ તો ઝાંપા બહાર બીજો જ કોઈ હશે.’

એટલી વારમાં તો બુમરાણ બમણું થઈ ગયું. ગુરચરનના બરાડા વધી ગયા. આજુબાજુથી એકઠા થયેલા રાહદારીઓ દખલ કે દરમિયાનગીરી કરતા હોય કે ચોવટ ડહોળતા હોય એવા અવાજો પણ આવવા માંડ્યા.

‘આ ગુરખો તો સાવ ગુરખો જ રહ્યો. બંગલાનો ચોકિયાત બન્યો છે, પણ અક્કલનો છાંટો ન મળે.’

‘એટલે જ તો એ ચોકિયાત બનિયો છ.’ બુચાજી બોલ્યા, ‘એવનમાં અક્કલ હોતે તો તે આપના જેવો મોટો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ નહિ બનતે ?’

‘અરે, પણ આ તો અત્યારથી જ વિમલ સરોવર ફાટ્યું હોય એવો ગોકીરો કરી પડ્યો છે.’

‘એમાં એનો કશો વાંક નથી, પપ્પા,’ તિલ્લુએ સમજાવ્યું, ‘તમે એને હુકમ કર્યો કે કોઈ પણ અજાણ્યા માણસને કમ્પાઉન્ડના દરવાજામાં પગ જ મૂકવા ન દેવો, પછી એ બીજું શું કરે ?’