આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
ગ્રહાષ્ટક વત્તા એક
 


‘ન થાય તો પછી ક્યારેય ન જ થાય.’

‘અરે, એવું તે હોય !’

‘આ ગ્રહોની દુનિયામાં તો એવું જ બને. અણીનો ચૂક્યો સો વરસ જીવી જાય.’

સર ભગનને ઘડી વાર પહેલાં અનુભવવા મળેલો સુખદ આનંદનો આઘાત ઓસરી ગયો અને એની જગ્યાએ હવે નર્યો દુઃખદ આઘાત જ બાકી રહ્યો.

તો હવે એ લગ્નયોગનો શી રીતે લાભ લેવો એ એક જ પ્રશ્ન સર ભગનને મૂંઝવી રહ્યો.

‘શેઠ, હું તો કહું છું કે અષ્ટગ્રહી પહેલાં જ એ શુભ પ્રસંગ પતાવી નાખો. ધરમના કામમાં ઢીલ સારી નહિ.’

કુળગોરની દોરવણી અનુસાર સર ભગને સાચે જ પુત્રીના વિવાહ માટે શેઠ પ્રકાશચન્દ્રને ત્યાં માગું મોકલાવ્યું.

‘તમારા પ્રમોદરાય જોડે અમારી તિલોત્તમાનો રૂપિયો બદલાવો.’

આ કહેણમાં વાસ્તવિકતા હતી અને વ્યંગ પણ હતો. ઔદ્યોગિક આલમનાં પ્રકાશજૂથ અને ભગનજૂથ સંલગ્ન થાય એમાં રૂપિયો તો સંડોવાયો જ હતો, પણ વાસ્તવમાં એ બદલાવાને બદલે બેવડો થાય એમ હતો. ભગનજૂથનું આખેઆખું ઔદ્યોગિક સામ્રાજ્ય તિલોત્તમા વાંકડા તરીકે લઈ જવાની હતી.

હવે બનવાકાળ છે, તે બન્યું એવું કે એક સવારે સર ભગન દામા પારેખ પાસે દાઢી કરાવતા હતા અને પોતાના આખરી વસિયતનામા ઉપર છેલ્લું મત્તું મારવા અને બધું કાયદેસર જડબેસલાક કરી નાખવા માટે બૅરિસ્ટર બુચાજીને બોલાવેલા. આગલે અઠવાડિયે શેઠજીએ બુચાજીને હાથે પોતાની સઘળી મિલકતોની માલિકીબદલી કરાવી નાખી ત્યારથી જ એ ગરીબડા ને બેકાર જેવા ધારાશાસ્ત્રીના દિલની ધડકન તો વધી જ ગઈ હતી. એક તો પોતે કુંવારો ને એમાં પાછો કડકાબાલુસ હોવાથી એનાં દિલ ને દાઢ બેઉ સળકી રહ્યાં હતાં.