આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

કહ્યું છે કે દરેક કાર્યકર પોતપોતાના ભાગે આવતી સંજ્ઞા મુજબ પોતાની ફરજ બજાવશે. રૂપકાર્થમાં કહીએ તો, વૃંદવાદન જેવા આ પ્રયોગમાં એ દરેક વાદ્ય પોતપોતાને ભાગે આવતું વાદન નિષ્ઠાપૂર્વક બજાવશે – તો એક્સૂર અને એકતાન એવું આહ્લાદક સંગીત ગુંજી ઊઠશે.૧૩

ચુનિલાલ મડિયા નાટકની સમીક્ષાની સાથે નાટક કઈ રીતે ભજવવું તેની પૂર્વતૈયારી વિશે પણ માર્ગદર્શન કરે છે. તેમની સમીક્ષામાં સાહજિકતા છે, પરંતુ તેમને કોઈ નાટકની મર્યાદાઓ ધ્યાનમાં આવી હોવા છતાં કડક સમીક્ષા નથી કરી.

વિનોદ અધ્વર્યુ (૧૯૨૭)

'રંગલોક' અને 'નાટ્યભૂમિ' નામે બે લેખસંગ્રહ દ્વારા સમીક્ષા પ્રગટ કરે છે. નાટક સાથે તેમનો સંબંધ ઘણો જૂનો છે. 'રંગલોક'માં તેમણે 'નાટક'ના સ્વરૂપ વિકાસ અને તે દરમ્યાન રંગભૂમિ અને નાટક વચ્ચે આવેલાં સ્થિત્યંતરો વિશે ઐતિહાસિક ક્રમમાં સમીક્ષા કરી છે. રંગલોકમાં કુલ ચાર દીર્ઘ સમીક્ષાઓ છે. ગુજરાતી નાટક, નાટક – એક અંકનું, ગુજરાતી નાટકનું ગદ્ય અને ગુજરાતીમાં શેક્સપિયર. આ ચાર લેખમાં 'ગુજરાતી નાટક' એ પ્રથમ લેખમાં નાટકના સ્વરૂપનો વિકાસક્રમ આલેખ્યો છે. તેમના મતે ગુજરાતીનું પહેલું નાટક તો રણછોડભાઈ ઉદયરામનું 'જયકુમારી વિજય' જે ૧૮૬૨માં બુદ્ધિપ્રકાશમાં 'જે કોરનો જે' નામે હપ્તાવાર પ્રગટ થયું હતું તે છે. 'ગુલાબ' નગીનદાસ મારફતિયાનું પ્રગટ થાય છે ૧૮૬રમાં જ. જે કોરનો જે નાટક ૧૮૬૧માં લખાવા માંડ્યું હતું એટલે એ પહેલું કહેવું જોઈએ એવો મત તેમનો છે. રણછોડભાઈ ઉદયરામનાં નાટકોથી માંડીને ન્હાનાલાલનાં નાટકો. સુધીનાં ભજવાતાં અને સાહિત્યિક નાટકો વિશે તેમણે વાત કરી છે. નાટકની પૂર્વપરંપરા, ભવાઈ આદિની ચર્ચા કરી પછી શેક્સપિયરશાઈ નાટકની સમીક્ષા કરે છે. અલબત્ત, વિનોદભાઈ નાટકને માત્ર ભજવણી પૂરતું જ મર્યાદિત નથી માનતા. એમનું માનવું એવું છે કે રંગભૂમિ પર રજૂ થતું નાટક જલદી છપાતું નથી કે તેને છપાવવાની ઉતાવળ નથી હોતી. બીજું કે રંગભૂમિ પર ભજવાતું નાટક સમકાલીન પરિસ્થિતિ સાથે અનુસંધાન રચતું રહે છે. સાહિત્યિક નાટક અને પ્રયોગ માટે જ લખાતા નાટકને આ રીતે અલગ પાડે છે. સુધારક રણછોડભાઈના પ્રભાવથી તેમની પછી પણ સતત લાંબા સમય સુધી નાટકે સુધારાનો ઉપદેશ આપ્યો. નાટકનો હેતુ જ બોધ આપવાનો થઈ પડ્યો. નાટક લખનારા લેખકો સાક્ષર નહોતા ને સાક્ષરોના નાટ્યલેખનના પ્રયત્નો રંગભૂમિ પર ભાગ્યે જ સફળતાને વર્યા હશે. સાક્ષરો અને રંગકર્મીઓના સહયોગ વિના નાટકના સ્વરૂપનો જેવો થવો. જોઈએ તેવો વિકાસ થયો નહીં તેમ તેમનું માનવું છે. 'રંગભૂમિની સ્ક્રીપ્ટ્સ' અને સાહિત્યનાં નાટકો બે ભિન્ન પ્રકારો વિકસવા લાગ્યા. ૧૪ આગળ તેમણે એ પણ સ્પષ્ટ