આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૫૦ ]


ભગવદ્ગીતા કહે છે કે:

अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते ।
तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् ॥ ९-२२
“અનન્ય પ્રેમમાં નિત્યે જે હૈયાં અભિયુક્ત છે,
“પોતે પ્રેમપ્રભુ ત્યાં તો યોગક્ષેમ વહ્યા કરે.”

એવું અનન્ય ચિન્તવન અને એવી પર્યુંપાસના સૂફી કરે છે; અને પતંજલિ ભગવાન યોગદર્શનમાં योगश्चित्त्वृत्तिनिरोध: | એવું યોગનું જે મૂલસૂત્ર પ્રબોધે છે તે આશકને 'ઝખ્મ' અને 'દર્દ' ની વેદનાને પરિણામે સ્વત:સિદ્ધ થાય છે, તેથી તે સનમના પ્રેમકીર્તન સિવાય બીજું કશું ચાહી શકતો નથી. તેના મનને નિગૃહીત કરવાને કે નિયમનમાં રાખવાને શાસ્ત્રાજ્ઞાઓની જરૂર પડતી નથી, કેમકે ખુદ આત્માની સાથે તેને સીધી આડત બંધાયેલી હોય છે અને એનું આંતરજીવન ગોયા એક પરમહંસ વા સંન્યાસીના જીવનને અનુરૂપ બની રહેલું હોય છે. પોતાપણું ફના કરવું એ સૂફીવાદનું તારતમ્ય છે અને તે સિવાય પ્રેમનો કે ચાહવાનો કશો જ હેતુ નથી; કેમકે પોતામાં રહેલાં વાસનાઓ અને વિકારો કાયમ રાખીને તો પ્રેમને પાત્ર કોઈ જ થયું નથી અને થઈ શકે નહિ એ સિદ્ધાંત છે.

ઉપરાંત, ચુસ્ત સૂફીનાં આવશ્યક લક્ષણ અને પ્રાપ્તવ્ય વિચારીએ, તો વિશુદ્ધ હૃદય, અસીમ ઔદાર્ય, આત્મનિગ્રહ, બ્રહ્મચર્ય, સતત ચિંતવન, વાસનાક્ષય, આત્માર્પણ અને પ્રેમલક્ષણા ભક્તિ એ એનું આન્તર જીવન છે. ભકિતમાર્ગના આચાર્ય નારદમુનિ પ્રેમભક્તિ સમજાવતાં કહે છે કે –

ॐ ॥ सा न कामयमाना निरोधरूपात् ।
ॐ ॥ परमप्रेमरुपवात् ||
ॐ ॥ निरोधस्तु लोकवेदव्यापार संन्यासः ।
ॐ ॥ तस्मै अनन्यता तद्विरोधिघूदासीनता च ।