આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
86
ગુજરાતનો જય
 

ધોળકાના ઉલ્કાપાતનું મૂળ કારણ જાણવા મળ્યું.

“બધું જ મારી જાણ બહાર બન્યું છે, વસ્તુપાલ શેઠ!” એ ખેદભર્યું મોંએ બોલ્યા, “મને નવાઈ લાગે છે કે સોમેશ્વર ગુરુ ક્યાં સંતાઈ ગયા ! એમણે કેમ કોઈ દિવસ મને સાવધ ન કર્યો!"

સોમેશ્વરનું નામ સાંભળતાં જ વસ્તુપાલનું મોં ચમક્યું. પોતાનો ગુરુપુત્ર સોમેશ્વર ધોળકે રાજપુરોહિત બન્યો હતો. એની સાથે કાવ્યો, શાસ્ત્રો અને દર્શનતત્ત્વોની રસભરી ચર્ચા માટે વસ્તુપાલ છેક પાટણથી તલસતો આવતો હતો.

પાટણ-દરવાજો આવી પહોંચ્યો. રાણાએ જુદા પડતાં પડતાં વસ્તુપાલને કહ્યું “શેઠ, હું તો મેં તમને કહ્યું તેમ નિરક્ષર છું, પણ ધોળકાને વિદ્યાનું ધામ બનાવવાના મનેય કોડ છે. મને કોઈ કોઈ વાર મળતા રહેજો. હું ન સમજું તોયે મને કાવ્યનો લલકાર ગમે છે.”

“આપના કોડ મહારુદ્ર ઝટ પૂરે.”

"તમે તો શ્રાવક છોને!”

“હાજી.”

“તો મહારુદ્રને કેમ સંબોધો છો?”

"કવિતાનો અનુરાગી છું, સરસ્વતીની પાસેથી જ અભેદ શીખ્યો છું.”

"મનેય શીખવશો?"

"જેવાં પ્રારબ્ધ !”

વીરધવલ બજાર વીંધીને રાજગઢ તરફ ચાલ્યો જતો હતો ત્યારે એની આંખો લોકોનાં મોં પર કોઈ નવા ભાવોનું તેજ વાંચતી હતી. વર્ષો સુધી એણે વસ્તીના પ્રણામો ઝીલ્યા હતા. પણ એ પ્રણામોમાં ઉજાસ કે ઉલ્લાસ નહોતો. કેવળ લોકોના કમ્મરો જ કાટખૂણે વળતી હતી ને લોકો જૂઠેજૂઠ રૂડું લગાડવાનો નિષ્પ્રાણ પ્રયત્ન કરતા. ઘણુંખરું તો વામનદેવ જેવા એકબે વ્યાપારીઓ જ રાણાની બાજુએ ચોકઠા જેવા બની જતા, એટલે ગામલોક રાણાને પૂરો જોઈ પણ ન શકતા.

આ દિવસે એણે સર્વના પ્રણામોમાં ઉમળકો દેખ્યો. વામનદેવને ક્યાંય ન દીઠા.