તો બાંધે છે શૂરવીર.”
"તમે શું કહો છો ?”
"સોખુને મેં જ આંહીં તેડાવી છે."
"દુનિયા શું કહેશે?”
“બાના દીકરા થઈને દુનિયાથી ડરો છો?"
વસ્તુપાલ સમજ્યો. અનોપ બાના વિધવાલગ્નની યાદ દેતી હતી. એણે જરા કડક બનીને કહ્યું: “યાદ રાખજો, હાથનાં કર્યાં હૈયે વાગશે. તેજલને રસ્તો કરી આપવો છે?”
આંહીં અનોપની પાંપણો ધરતી ખોતરવા લાગી. એણે તદ્દન નરમ સ્વરે કહ્યું: "હું ક્યાં આડે આવું છું? હું તો મારે પિયર જાડા જૂથને ટેવાયેલી છું. જેને લાવશો તેને આંખમાથા ઉપર રાખીશ.”
"બહુ ભલાં થયાં છો તે ! ગરીબ પોરવાડોના ઘરમાં બાયડીઓના ધડાકા મચાવવા છે, એમ ને?”
"એવું થાય તે દિવસ મને ચંદ્રાવતીનો રસ્તો દેખાડજો. વધુ શું કહું? પણ આ વાતમાં તો બીજો માર્ગ નથી. સોખુબાને મેં બરાબર તાવી જોયાં છે. એ એકનાં બે થશે નહીં. પછી તો મરજી વડીલની.”
એમ કહીને અનોપ પોતાને ઓરડે પાછી ચાલી ગઈ. અને વસ્તુપાલ કપાળે હાથ ટેકવીને વિમાસતો બેઠો.
એ નીરવતાને પોતાના મુક્ત હાસ્યથી ખખડાવી મૂકીને લલિતા પતિના ખોળાની એક બાજુએ ચડી બેઠી. પતિની દાઢી ઊંચી કરીને બોલી: આ ખોળો. તો ખૂબ પહોળો છે, અને કાયર શું બનો છો, કવિરાજ!”
“તારો તો ઠીક, પણ તારી બેનનો ચૂડો ભંગાવવા શીદ તૈયાર થઈ છો?”
"શું છે વળી ચૂડાને?”
“તું જાણછ? હું હાટડું માંડીને નાણાવટ નથી કરવાનો.”
“તો કવિતા કરજો - બે બાયડીઓના ધણીની દુર્દશાની!”
"ભૂલી છે તું. કાલ તો હું તુલસીનું પાંદ મોંમાં લઈને બહાર નીકળીશ.”
"વીર ન જોયા હોય તો ! જેનો ધણી તુલસીનું પાંદ મોંમાં લેશે એની વાણિયણો મોં વાળવા નહીં બેસે, હો બહાદુર ! ને ચૂડીકર્મ કરવાય નહીં રોકાય. આમ જુઓ, ગલ્લાતલ્લાં કરો મા, ને વિશ્વાસ રાખો, અમે બેય બેનો તમારે માણવાની કવિતા કહેશો તો કવિતાઓ, ને કટારો કહેશો તો કટારો બનશું. ઊઠો આમ, નહીંતર ધોળકાનું મલાવ તળાવ ગોઝારું બનશે. ગામને પાણીનું દુઃખ થશે, ને સોખુ તમને