આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
23
સમર્પણનાં મૂલ

રાત્રિઓ પછી રાત્રિઓ સુધી સદીકના ઘરમાં ધરબાયેલી, ગણી ગણાય નહીં તેટલી ગુજરાતની ચોરેલી, લૂંટેલી લક્ષ્મીની ટીપ થઈ રહી હતી. અને તે રાત્રિઓમાં મંત્રી વસ્તુપાલ બેઠા બેઠા તાડપત્રી પર પોતાના “નરનારાયણનન્દમહાકાવ્ય'ની સંસ્કૃત કડીઓ પર કડીઓ રચતા હતા. તેમાંથી થાકતા ત્યારે જાતજાતના છંદોમાં સંસ્કૃત સૂક્તિઓ આલેખતા હતા. અને તે જ રાત્રિઓમાં એ સંસ્કૃત કાવ્યોના ઉપાસક તરફથી કંઈક ગુપ્તચરો માલવરાજના દરબારે, દેવગિરિની સૈન્ય-છાવણીમાં અને શંખના લાટમાં કોઈ અનેરી જ લીલા ભજવી રહ્યા હતા.

સદીકની સમૃદ્ધિની વિગતો જેમ જેમ બહાર પડતી ગઈ તેમ તેમ પ્રજામાં ઓહોકાર અને અરેરાટી છૂટતાં ગયાં. સુવર્ણ, મૌક્તિકો, અને મૂલ્યવાન દ્રવ્યોનો સુમાર ન રહ્યો. એમાંથી એકપણ વસ્તુ ખેસવવાની મંત્રીએ મના કરી. રાણા વીરધવલને પાટણ સમાચાર પહોંચાડી દીધા હતા. વીરધવલ મારતે ઘોડે ધોળકે આવવા નીકળી ચૂક્યા હતા. અને ચાર મારુરાજોની ચડાઈની વાત પણ બનાવટી તરકટી નક્કી થતાં તેમને આગળ વધવું પડ્યું નહોતું. એ તરકટ સમાચાર, બરાબર મંત્રીના સ્તંભતીર્થ રહેવા દરમ્યાન જ ધોળકે પહોંચાડનાર બનાવટી દૂત પકડાયો હતો. એ દૂત સદીકનો નીકળ્યો. શંખની ચડાઈને અનુકૂળતા કરી આપવાનું જ એ કારસ્તાન હતું. તેજપાલ અને વીરધવલ બેઉ પાછા વળ્યા. તેજપાલને સદીકના ઘરના દ્રવ્યની ટીપ કરી કબજે લેવા કહી, વસ્તુપાલ ત્રણેય મારુ પરોણાઓ સાથે ધોળકે ગયો.

રાણા મંત્રીને ભેટે તે પૂર્વે જ મંત્રીએ રાણાની પાસે ત્રણ ચાહમાન પરોણાને રજૂ કર્યા – ને કહ્યું: “આ ત્રણ ન હોત તો આજે સ્તંભતીર્થ રોળાઈ ગયું હોત.”

ત્રણેયનું વીરધવલે પણ બહુમાન કર્યું. પછી સદીકના ઘરની લક્ષ્મીની ટીપ રાણા પાસે હાજર કરવામાં આવી

“આટલી બધી !” રાણાની છાતી બેસી ગઈ.

“અને દેવ !" મંત્રીએ કહ્યું, “સદીકના ઘરમાંથી ત્રણ કોટડીઓ ધૂળથી ભરેલી