આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગર્વગંજન
143
 

દિવસ એ વિલાસાભાસી આચાર્ય પોતાના મઠમાંથી બહાર ન નીકળ્યા. પાઠ પૂરા થયે, આઠમી રાત્રિએ મંત્રી ઉત્સવ કરવા દેવરંગમંડપમાં પધાર્યા. આખી રાત ચૈત્યમાં ઉત્સવના ઝંકારવ ચાલ્યા. પ્રભાતે મંત્રી બહાર નીકળે છે એમ જાણ થતાં જ મઠપતિ આચાર્ય મlલ્લવાદિનસૂરિ સામા આવીને ઊભા રહ્યા. એને દેખીને મંત્રી ભોંય ઢળતું જોઈ ગયા. એટલે આચાર્યે પાછું એક બીજું કાવ્યચરણ લલકાર્યુંઃ

दूरे कर्णरसायनं निकटतस्तृष्णापि नो शाम्यति

[એ તો દૂરથી જ કાનને મીઠો લાગે છે. નજીક જવા જેવો નથી. નજીક જશું તો આપણી તરસ પણ છીપે તેમ નથી.]

મંત્રીએ આ નિંદા પોતાને ઉદ્દેશાવેલી જોઈને પહેલાં તો સાધુની ધૃષ્ટતા માની, પછી કંઈક કુતૂહલ અનુભવ્યું. એ ઊભા રહ્યા એટલે આચાર્ય સ્મિતભેર કહ્યું: “જાઓ મહાશય, જાઓ ! પૃથ્વીમાં વિજયો કરો અને તીર્થો પૂજ્યા કરો.”

સૂરિના નિંદાશબ્દોએ મંત્રીને કૌતુકમાં નાખી દીધો. એણે જરા રહીને પૂછ્યું: “કયા પ્રસંગની આ પ્રસ્તાવના કરો છો, સૂરિજી ! આપના મેણાનું કંઈ રહસ્ય સમજાયું નહીં.”

"કાંઈ નહીં, મંત્રીશ્વર !” સૂરિ જોરમાં આવ્યા, “સુખેથી સિધાવો, તમારાં ઘણાં-ઘણાં કાર્યો ખોટી થતાં હશે.”

“ના, ના, હવે તો કહી જ નાખો.”

"ત્યારે જુઓ, મંત્રીશ્વર ! વાત એમ છે: મરૂભૂમિના કોઈક ગામડામાં ગમાર, પશુ સમા ગામડિયાં વસતાં હશે. તેમાં એક દિવસ એક દરિયાકાંઠાના ગામનો રહીશ પ્રવાસી એ મરૂભૂમિમાં આવી ચડ્યો. ગામડિયાને થયું કુતૂહલ, પૂછ્યું, “કોણ છો? ક્યાંથી આવ્યા? પેલો કહે: “સમુદ્રતીરનો વાસી છું.' ગામડિયાએ પૂછ્યું: 'દરિયો ખોદ્યો કોણે?' તો પેલો કહે કે 'દરિયો સ્વયંભૂ છે.'

“મરુવાસીઓએ ફરી પૂછ્યું: 'દરિયો કેવડો છે?' તો કહે કે 'અલબ્ધપાર', પૂછ્યું, 'એની અંદર શું શું છે?' તો કહે કે –

ग्रावाणो मणयो हरिर्जलचरो लक्ष्मीः पयोमानुषी
मुक्तोधाઃ सिकताઃ प्रवालतिकाઃ शैवालभम्भः सुधा
तीरे कल्पमर्दारुद्धः किमपरं नाम्नापि रत्नाकरः

[દરિયામાં તો પથ્થરો છે, મણિઓ છે, જલચરો છે. લક્ષ્મી છે, મુક્તા છે, રેતી છે, પરવાળાં છે, શેવાળ છે, અમૃત છે. એને કિનારે તો કલ્પવૃક્ષ ઊભું છે, બાકી તો શું નથી? એનું નામ જ રત્નાકર છે.]

આમ ત્રણ જ ચરણો બોલીને એ તો આગળ ચાલ્યો ગયો. પણ મરૂભૂમિનો