આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
248
ગુજરાતનો જય
 

મંગલ કરતી દેખીને ગુર્જરોને કેટલું સુખ થાત ! ને એ મારા હસ્તે મંગલ થતું નિહાળીને ભયમુક્ત બનત.”

“શાનાં ભયમુક્ત?”

"કે દીકરા કેવા પાકશે ને કેવા નહીં એ વાતની એને સતત ધાસ્તી રહેતી હતી. અમારું જરા જેટલું પણ અઘટિત કામ દેખીને એ એકાંતે જઈ વિચારમાં પડી જતી તે મને યાદ છે. હું પૂછતો કે બા, તમે અમારા ભવિષ્યની શીદ આટલી જંજાળ કરો છો, તો એ બોલતાં નહીં. એને છૂપું છૂપું શું મૂંઝવતું હતું તેની મને આજે પણ ખબર નથી પડી.”

"તેની મને ખબર છે, વત્સ !" વિજયસેનસૂરિને હોઠે હાસ્ય રમી રહ્યું “એમને ભય હતો કે દીકરા વંઠશે તો કુળવાન વિધવાનું પુનર્લગ્ન વગોવાશે.”

"પણ એ બીકથી મુક્ત થવા આજે એ જ નથી રહ્યાં.”

"જગત તો રહ્યું રહ્યું જુએ છેને!”

“એ મારી માને ક્ષમા આપશે?”

"ક્ષમા નહીં, વત્સ ! જગત તો આજે એને વંદના દે છે.”

એમ કહેતાં સૂરિનાં પ્રસન્ન નેત્રોએ આખી પ્રખદા પર ચક્કર મારી લીધી. એના શબ્દોનો ભાવ તમામ ચહેરાઓ પર ઝિલાયો હતો.

"મારા બાપુએ.” વસ્તુપાલ ફરી બોલ્યો, “એમની દીન-દરિદ્ર અવસ્થામાં પણ એની માતાને શ્રવણની માફક આ બધાં તીર્થાટન કરાવ્યાં હતાં. હું તો લૂણિગભાઈનું મરતી વેળાનું માનતા માનેલું પ્રભુ-બિમ્બ પધરાવવા પણ માતાને જીવતી ન રાખી શક્યો.”

એ સાંભળી શોભનદેવને કશોક નિગૂઢ રોમાંચ થયો. એનાથી વગર વિચારે પણ અનુપમા સામે જોવાઈ ગયું. સૂરિજી વસ્તુપાલને સાંત્વન દેવા લાગ્યા.

“કલ્પાંત વૃથા છે, સુજ્ઞ ! મહારાજ સિદ્ધરાજ પણ અવન્તી જીતીને પાછા વળ્યા ત્યારે દેવી મીણલનો અભાવ એને બહુ સાલેલો. પાટણના ભરઉત્સવ વચ્ચે એણે કલ્પાંત કરેલું કે, मा स्म सीमन्तिनी काडपि जनयेत् सुतमीधशम् । बृहदभाग्यफलं यस्य मृतमातृरनन्तरम् । (“હે જગતની કોઈ પણ જનેતા ! એવો બેટો કદી ન જણજો, કે જેનો મહાભાગ્યોદય માના મૂઆ પછી પ્રગટે) પણ એ એક જ ચાવી આપણે હાથ નથી. ધીર પુરુષોને એ ઓરતા ન શોભે. ચાલો હવે, દેવને તો યાદ કરીએ.”

સૌ ઊઠ્યા. પ્રાસાદની અંદર જતાં જતાં બન્ને આગળ એકલા ચાલતા હતા. બન્ને વચ્ચે વાતો થઈ. મંત્રીએ કહ્યું: “આપનો મેળાપ કેટલાં વર્ષ વીત્યે?”

“ચારેક તો ખરાં જ.”