આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
18
ભક્ત-હૃદય

શું પ્રયોજને સૂરિજી આજે ચારેક વર્ષે મારી પાછળ દોટદોટ વિહાર કરતા પહોંચ્યા એ વિચાર મંત્રીને સતાવતો હતો. પણ આદિ તીર્થંકર ઋષભદેવના પ્રાસાદમાં પ્રવેશ કરતાં પહેલાં એણે માનસિક તર્કવિતર્કોને અને પગનાં ઉપાનને એકસાથે જ બહાર કાઢી નાખ્યાં. મનની ગતિ રૂંધ્યા વગરની મહત્તા બધી બનાવટી છે એ વિચાર એના પર અદ્રશ્ય તમાચા જેવો પડ્યો. હું જ બધી ઊથલપાથલોનું મધ્યબિંદુ છું ને મારા વગર દુનિયાનું રસાતળ જવા બેઠું છે એવા છૂપા અભિમાનને એણે કાંચળી ઉતારતા સાપની માફક ઉતારી નાખ્યું. ને એણે જિનપ્રતિમાની સમીપ ઊભા રહીને અનુભવ્યું કે વાગ્દેવીના પ્રથમ-પહેલા ઝંકાર જેવી શબ્દરચના એની જીભને ટેરવે નાચી રહી છે; વર્ષોની પહેલી વાદળી જાણે વરસુંવરસું થઈ રહી છે; નદીનું પહેલું પૂર જાણે દૂરથી દોડ્યું આવતું, નજીક ને નજીક ગાજ્યે આવતું, હૃદયના બંને કિનારાને છેલાવી રહ્યું છે.

સુભાષિતો તો એણે મહેનત કરી કરી ઘણાંયે રચ્યાં હતાં, સ્તંભતીર્થમાં રાત્રિએ દીવીઓ બાળી બાળી, કષ્ટ વેઠી વેઠીને કવિતાનાં પાંખિયાં એ મેળવતો હતો ને લલિતા-સોખુને એવી રચનાઓ વડે રાત્રિના પ્રેમામોદમાં રીઝવતો હતો; પણ શત્રુંજયના આદિનાથ-પ્રાસાદના ઘૂમટ નીચે એણે જે કાવ્ય-ઘોષ પોતાના અંતરમાં ઊઠતો અનુભવ્યો તે નવીન પ્રકારનો ને નવી ચેતના સ્ફુરાવતો લાગ્યો; આ શબ્દો એને મોંએથી સર્યા –

त्वत्प्रासादकृते नीड वसन् शृण्वन् गुणांस्तव ।
संघदर्शनतुष्टात्मा भूयासं विहगोऽप्यहम् ॥

[આ તારા મંદિરમાં માળો ઘાલીને અંદર વસતો વસતો, તારાં સ્તવનો સુણતો અને તારા યાત્રીસંઘોનાં દર્શને સંતુષ્ટ બનતો હું એક પંખી જન્મું. તારા ઘૂમટમાં પારેવું બની ઘૂઘવતો રહું, એવું હું ભાવું છું. હે નાભેય ! હે ઋષભદેવ !]

પછી તો શ્લોકોની સાત સાત દેગડી ચડી. અન્ય ધ્યાનભાન એને રહ્યું નહીં. મંદિર, મંદિરનો ઘૂમટ, એ ઘૂમટમાં પંખીનો માળો નાખવાનાં વાંછિત સ્થાનો, અરે,