પડાવમાં વસ્તુપાલ અને એ, બે એકલા જ હતા. રાત્રિવેળાએ રાસોત્સવો ને નાટકો થતાં ત્યાં મંત્રીપરિવાર પણ મોડી રાત સુધી હાજર રહેતો. મંત્રી પોતે જ થોડીહાજરી આપીને પાછા વળ્યા હતા.
"કાં સુવેગ !” મંત્રીએ માલવી ભટરાજનો પાઠ ભજવતા ગુપ્તચરને કહ્યું, "પેલી ડાકણ પછી ઓળખાઈ કે નહીં?”
“હા જી, દેવગિરિની નામાંકિત ગણિકા ચંદ્રપ્રભા છે.”
"કંઈ માછલાં પકડી શકી છે?”
"જી હા, આપણી સેનામાંથી પણ કેટલાક ઊંચા અધિકારીઓ એના પડાવમાં જતા-આવતા થયા છે.”
“તને લાગે છે કે તેમાંથી કોઈ આપણાં યુદ્ધ-રહસ્યો કહી દેતા હોય?”
“ચંદ્રપ્રભા ગણિકાના હાથની એક પાનપટી જ બસ થાય તેવી છે, પ્રભુ ! એની સુરાની કટોરી અને એનો એક કટાક્ષ જ માણસના મનમાંથી બધું રહસ્ય ઓકાવી નાખવા માટે બસ થાય છે.”
“ત્યારે તો આપણા ઘરમાં પણ દ્રોહીઓ છે.”
"દ્રોહીઓ નહીં પ્રભુ, દુર્બલો.”
"લાવ, નામ દે, એમને જલદી પકડાવી લઉં છું. વારુ, ચંદ્રપ્રભા તરફથી કોઈ દૂત હજુ જઈ શક્યો નથીને”
“ના જી.”
“તો હવે એ દૂત તારે જ બનવું પડશે. જો, પાકે પાયે સમાચાર છે કે દિલ્હીપતિ મોજુદ્દીનનાં ધાડાં સિંધુતટ તરફ કૂચ કરી ગયાં છે.”
“આપને કોણે કહ્યું?”
"તું કેટલાં વર્ષોથી મારી પાસે છે?”
"સાત.”
“તોપણ આવું પૂછવાની મૂર્ખાઈ કરી શકે છે? ગાંડો નહીં તો ! તેં અત્યાર