આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
310
ગુજરાતનો જય
 


"ઓહો! આ રહ્યું નૈષધકાવ્ય. આ કોનું ?" મોટું નામ વાંચી, દોરી ઉખેળી મંત્રીએ પુસ્તક વાંચવા માંડ્યું. સાંભળતાં જ હરિહર પંડિત ચોંક્યા. વાઢો તોય લોહી ન નીકળે !

“મને થતું જ હતું કે મારા વાંચવામાં ક્યાંઈક આવેલ છે.” મંત્રીએ ડામ પર ડામ દેવા માંડ્યા, “પણ આપ જેવા સજ્જનને કંઈ કહેવાય? આ તો વળી અચાનક નીકળી પડ્યું. આ તો સારું થયું કે આપણને આંહીં જડ્યું. આપણા બે સિવાય કોઈને ખબર નથી એ સદ્ભાગ્ય છે, પણ સોમેશ્વર જાણે તો વૈર જ વાળેને?"

"આપે – આપે – આપે ઊઠીને મારી કૃતિ –"

હરિહર કાંઈ વધુ બોલે તે પૂર્વે તો મંત્રીએ હસીને કહ્યું: “ચોરી ! ધરાર ચોરી.”

"આપ જેવા –"

"મારા જેવો તો આ ગુજરાતમાં બીજો કોઈ શઠ નથી, એ હું કબૂલ કરું છું, મહારાજ !”

“આપ તો વિદ્યાના આશ્રયદાતા છો.”

"હા, અને કુવિદ્યાનો પણ.”

"મારી કુવિદ્યા?”

"ન હોય તો કહો કે સોમેશ્વરના શ્લોકો એ કોની ચોરી છે? આપની કે એની?”

“મારી નહીં, સરસ્વતીદેવીની.”

“એ બાપડીને કાં વગોવો?”

“એણે મને શીધ્ર સ્મરણશક્તિનું વરદાન દીધું છે. એક વાર જે સાંભળું છું તે સ્મરણમાં રહી જાય છે.”

“એવી સરસ્વતી-કૃપા આવાં તરકટો કરી વૈર વાળવા માટે મળી છે?”

“હવે ક્ષમા કરો. મને છોડો.”

"પણ સોમેશ્વરદેવને કોણ છોડાવશે? પધારો પાછા ધોળકે, ને એ જ ભરસભામાં મારા ભોળિયા રાણાને, પ્રજાને, પંડિતોને, સર્વને ખાતરી કરાવો, નહીંતર ભારતવર્ષની એકેય રાજસભામાં ઊભવાનું સ્થાન નહીં રહે તેવું કરી બતાવીશ.”

વળતે દિવસે ધોળકાની રાજસભામાં અગાઉ નહોતી તેટલી મોટી મેદનીએ હાજરી આપી. હરિહર પંડિતે રાણા વીરધવલ આગળ પોતાની અદ્ભુત યાદશક્તિના જોરથી ઊભા કરેલા આળનો આ પ્રમાણે એકરાર કર્યો.

“નદીકાંઠે મેં સરસ્વતીનો મંત્ર સાધેલો હતો. એના હોમકાળે સરસ્વતી પ્રત્યક્ષ થયાં, “માગ માગ’ કહ્યું. મેં માગ્યું કે, એકસામટાં એકસો ને આઠ ઋચા, શ્લોક,