આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પતનનાં પગરણ
347
 

કામ લીધું છે. પણ હજુય અમને વહેમ છે કે મોટાબાપુને વીરમદેવજી માથે મોહ છે. બાપુ જીવશે ત્યાંસુધી તમને શાંતિથી રાજ કરવા કોઈ દેશે નહીં.

વીસળદેવના દિલમાં ‘બાપુ જીવશે ત્યાં સુધી' એ શબ્દો વસી ગયા. એણે વાટકામાં ઝેર ઘોળી તૈયાર કર્યું..

સંધ્યાનો સમય હતો. બુઢ્ઢા લવણપ્રસાદ એકલા બેઠા બેઠા વિચાર કરતા હતા: “ખોટું થયું ! ભૂલ કરી ! વીરમ વીફરી જશે. ગુજરાતના ટુકડા થશે. પ્રભાતે ફરીવાર વીરમને જ તિલક કરું.”

ત્યાં તો વાટકો ભરીને વીસળદેવ દાખલ થયો, કહ્યું: “લો મોટાબાપુ. આ અમૃત લાવ્યો છું. ઝટ પી લો.”

"ઓહો ! બેટા !” લવણપ્રસાદ સમજી ગયો, “તારા મનમાં પણ ઊગી ગયુંને શું !”

"હા બાપુ, ઊગી ગયું એટલે તો લાવ્યો છુંના !”

“ઠીક, એ જ ઠીક છે, ભાઈ ! તું સૌને પહોંચીશ એની મને ખાતરી થઈ ગઈ. તને કોઈ ઊંઠાં નહીં ભણાવી શકે એ નક્કી થયું. લાવ, બેટા !”

લઈને લવણપ્રસાદે ઝેર પોતાના પેટમાં રેડી લીધું. તત્કાલ એના પ્રાણ છૂટી ગયા.

વીસળદેવને હવે બીજી સોગઠી ઉડાવવી હતી. નાગડને કહી દીધું કે 'હમણાં તું ખસી જા. આ વાણિયાઓની જ અક્કલનો ઉપયોગ કરી લેવા દે' એમ કહીને એણે તેજપાલ સાથે મંત્રણા કરી. અમારી જ દોરવણી મુજબ આ નવો રાજા ચાલી રહ્યો છે એવી ભ્રમણાને વશ બનેલ તેજપાલે વીસળદેવને પેંતરો બતાવ્યો. ત્રીજે દિવસે રાજસભામાં પોતે કહ્યું: “હું તો બાળક છું. મારે તો બાપ નથી, દાદા પણ ગયા. જે ગણું તે મારે તો મોટાભાઈ છે. એ કહે તો રાજત્યાગ કરું ને એમની સેવા કરું.”

પક્ષકારોએ વીરમદેવને સમજાવ્યું: “ગમે તેમ તોય એ રાજા છે, એને પડખે મંત્રીઓ છે ને ધોળકાની પ્રજા છે. એને રીઝવી લ્યો. બાકી આ પ્રપંચમાં પડવા જેવું નથી. આગળ પછી જોયું જશે.”

"તો મને પાંચ ગામ આપે.” ભોળા વીરમે નામ ગણાવ્યાં: “પ્રહ્લાદનપુર, પેટલાદપુર, વિદ્યાપુર, વર્ધમાનપુર અને ધોળકા – એ પાંચ ગામ, ઉપરાંત વાર્ષિક ત્રણ લાખની જિવાઈ. એટલું કબૂલે તો હું રાજાને નમું.”

“કબૂલી લો, મહારાજ !" વસ્તુપાલની સલાહ પડી.

“પણ –"