આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પતનનાં પગરણ
349
 

જમાઈ કાંઈપણ ઉફાંદ કરશે તો તારું રાજપાટ કે માથું એકેય રહેવાનું નથી!”

ઝાલોરના રાજાએ સગા જમાઈનો શિરચ્છેદ કરાવ્યો. વીરમદેવનું માથું મંત્રીઓને ખાતરી થવા મોકલ્યું. વસ્તુપાલ-તેજપાલની કારકિર્દીમાં એ કાળા કેરનો પ્રસંગ બન્યો.

એ બન્યા પછી બે'ક વર્ષો જવા દઈને પોતાના હસ્તક રાજ કડે થયું છે તેની ખાતરી પામતાં જ વીસળદેવે મંત્રીઓને કહ્યું: “હવે આપ બેઉ વૃદ્ધ થયા છો. હવે ગુજરાત પણ નિષ્કંટક બન્યું છે. આપ બન્ને હવે આરામ કરો.”

"બરાબર છે, મહારાજ ! અમારે પણ હવે શાંતિ જોઈએ છે.”

પોતાનો પ્રભાવ પૂરો થયો માની બન્નેએ કારભારું છોડ્યું. નવા રાજા માથાના નીવડ્યા. 'વૃદ્ધ અમાત્યો' પ્રત્યે ઉપલક માન રાખતા રાખતા તેમણે પોતાનું વર્ચસ્વ જમાવી પાડ્યું. એની પાસે સમરાક નામે નીચ પ્રતિહાર હતો. એણે ધીરે ધીરે રાજાના કાન ફૂંક્યા: “આ વાણિયાઓની પાસે રાજનું અઢળક દ્રવ્ય છે.” વીસળદેવે ખડ ખાધું. વૃદ્ધ અમાત્યોને તેડાવી કહ્યું: “લાવો દ્રવ્ય.”

"લઈ લોને!” વસ્તુપાલે ટૂંકો જવાબ વાળ્યો.

“ક્યાં છે?”

“આબુ ઉપર, શેત્રુંજા ઉપર, ગિરનાર ઉપર, ઢગલા ને ઢગલા ખડક્યા છે.”

“તો શિક્ષા સ્વીકારો.”

"ફરમાવોને!”

“ફરમાવું છું; ઘટ-સર્પ.”

"ખુશીથી.”

કાળા ફણીધર નાગને ઘડામાં મૂકીને રાજાએ તૈયાર કરાવ્યો. કોઈના વાર્યા રાજા રહ્યા નહીં. બેમાંથી એક ભાઈએ ઘડામાંથી જીવતા સર્પને હાથે પકડી બહાર ખેંચી લેવાનો હતો. નગરમાં હાહાકાર વર્તી ગયો. પણ એક જ એવો માનવી હતો જેણે રાજાને ધવલગૃહની ભરસભા વચ્ચે ઠપકાનાં વેણ કહ્યાં. એ હતા સોમેશ્વરદેવ. ગુરુવચનથી શરમિંદા બનેલા વીસળદેવે સજા પાછી ખેંચી.

આખરે એક દિવસ વધુ કપરી કસોટી આવી પહોંચી. વૃદ્ધ વસ્તુપાલ જમવા બેઠા છે. હાથમાં હજુ તો પહેલો કોળિયો છે, ત્યાં એણે બહાર ધાપોકાર સાંભળ્યો. ઘડીકમાં તો ખબર આવ્યા કે અપાસરાના ક્ષુલ્લકને (ઝાડુ પોંજનાર સાધુને) માથે માર પડ્યો છે.

“કોણે માર્યા?”

"રાજાજીના મામા સિંહ જેઠવે."