આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
350
ગુજરાતનો જય
 


“શા માટે?”

“અપાસરાની ઉપલી પૌષધશાળામાં ક્ષુલ્લક રજ પોંજતા હતા. રજ નીચે રસ્તા પર પડી. રસ્તા પર જેઠવામામાની ગાડી જતી હતી તેના પર રજ વેરાઈ. મામાએ ઉપર આવીને હાથ ચલાવ્યો.”

"હં-હં,” પહેલો જ કોળિયો હાથમાં થંભાવીને વૃદ્ધ થોડીવાર થીજી રહ્યા. પછી કોળિયો હેઠે મૂક્યો, હાથ ધોયો, ઊઠ્યા, પરસાળમાં આવ્યા. સામે પોતાના સો-બસો રક્ષપાલો ઊભા હતા તેમને સંબોધીને શાંત ગૌરવ સમેત સંભળાવ્યું: "છે કોઈ એવો કે જે હમણાં ને હમણાં જેઠવામામાનો હાથ કાપીને આંહીં લઈ આવે?

"હું હું હું-હું” પ્રત્યેકે હાક મારી.

"તું જા,” મંત્રીએ એમાંના એક માણસને કહ્યું, “ઊભો રહે ! અલ્યા, કયા હાથે સિંહમામાએ ક્ષુલ્લકને માર્યા?”

“બાપુ, મામા તો ડાબેરી જ છે.”

"ઠીક, તો અલ્યા ડાબો હાથ કાપી લાવવાનો છે.”

પોતે વગરજમ્યા ત્યાં જ ઊભા રહ્યા. થાંભલીને ટેકવી કાયા હાથ રાખી. પ્રકંપને છુપાવી રાખ્યો. આંખો આકાશ તરફ માંડી.

છેદાયેલો હાથ લઈને ક્ષત્રિય આવી પહોંચ્યો.

"હવે જુઓ,” મંત્રીએ શાંતિથી સૂચના આપી, “એ હાથને એક વાંસડા ઉપર બાંધી લો, ને વાંસડો આપણી ડેલીને માથે ઊભો કરો – ઊભે માર્ગે જતા-આવતા સૌ જુએ તે રીતે.”

તે પછી પોતે પોતાના ઘરના ચોકીદાર સર્વ ક્ષત્રિયોને સંભળાવ્યું: "જેમને જીવ વહાલો હોય તે હવે અહીંથી વિદાય થજો.”

કુટુંબીઓને કહ્યું: “તમે પણ આઘાપાછા થઈ જાઓ.”

કોઈ કરતાં કોઈ ખસ્યું નહીં.

"બસ તો પછી, ગોપુરના દરવાજા ભીડી લો.”

દરવાજા ભિડાયા. પોતે કવચ પહેરી લીધું, ધનુષ્ય ધારણ કર્યું, ખડગ કેડે બાંધ્યું. એકલા મેડી ઉપર જઈને ગોખમાં ઊભા રહ્યા.

દેકારો સંભળાતો હતો. જેઠવાના જણનું જાડું જૂથ નગરીને ધણેણાવતું ઘૂમતું હતું. કોલાહલ મચ્યો હતો. ટોળું રાજમંદિરના ચોકમાં પહોંચ્યું. એમાંથી મોટેરાએ. કહ્યું: “એક વાર મહારાજને કહી જોઈએ.”

વાત સાંભળીને મહારાજ વિસળદેવે જવાબ વાળ્યો: "મામે ભૂંડી કરી ! અલ્યા કોઈ ન જડ્યો તે મંત્રીના ગુરુને – સાધુને માર્યા? હવે આંહીં જ થંભો. અરે કોઈ