આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[8]
[ત્રીજી આવૃત્તિ]

બે ક્ષત્રિય પિતાપુત્ર, બે વણિક ભાઈઓ અને એક બ્રાહ્મણ, એ પાંચેય મળીને સિદ્ધ કરેલા ગુર્જરદેશના પુનરુદ્ધારની આ કથાને ત્રીજી આવૃત્તિમાં પ્રવેશ કરતી જોઈને હું કૃતાર્થતા અનુભવું છું. સત્તાપ્રાપ્તિની મેલી કોમી કે સાંપ્રદાયિક ખેંચતાણ અથવા સ્પર્ધાનો સદંતર અભાવ, એ આ કથાના કાળને સમસ્ત ગુર્જર ઇતિહાસમાં વિશિષ્ટ અને વંદનીય બનાવે છે. ગુજરાતનો આ જય એ જો કેવળ શસ્ત્રજય હોત, પ્રપંચજય હોત, ગુમાવેલા પ્રદેશોની પુનઃપ્રાપ્તિનો અથવા તો નવા પ્રદેશોની પચાવગીરીનો જય હોત તો એને હું 'ગુજરાતનો જય' ન કહેત. આ તો હતો સંસ્કારિતાનો જય.

બે વર્ષે ફરીવાર હું આ કથા વાંચી ગયો છું અને એની અંદર મેં સીંચેલી મંગળ ઊર્મિઓમાં હું પુનઃ પુનઃ ભીંજાયો છું. હજારો વાચકો આમ ભીંજાયા હશે એવા વિચારથી મેં મારા જીવનની થોડીએક ધન્યતા અનુભવી છે.

ત્રીજો ખંડ મારે લખી નાખવો જોઈએ એમ અત્યારે ઉત્કટતાપૂર્વક લાગે છે. બીજા ખંડમાં છેડે જે જુદો ઇતિહાસ આપીને જ પતાવ્યું છે એ બરાબર નથી. આશા રાખું કે મા સરસ્વતી 1945ની જ સાલમાં એ મનોરથને સફળ કરવા શક્તિ દેશે.

1944
ઝવેરચંદ મેઘાણી
 


ખંડ 2

'ગુજરાતનો જય’ ખંડ પહેલા પછી બે વર્ષે આ અનુસંધાન શક્ય બને છે. એ બે વર્ષ મારા અંતર પર એક ભારે બોજો રહ્યા કર્યો હતો.

ગુર્જરરાષ્ટ્રના ઇતિહાસનું તેમ જ જીવી ગયેલા થોડાક માનવોના જીવનસંસ્કારના ઇતિહાસનું, એક મહોજ્જવલ પાનું મારાથી તો જેવુંતેવું રજૂ કરી શકાયું છે, પણ તે કોઈ સમર્થ કલમની અચોક્કસ સમય સુધી રાહ જોતું રહે તે ઠીક હતું, કે આટલું પણ અજવાળે મુકાય છે તે ઠીક છે, તે તો વાચકોના જ વિચાર પર છોડવું જોઈએ. છે. આની વસ્તુસામગ્રી જુદા જુદા પ્રબંધોમાંથી વીણી એકઠી કરી છે, અને સુવેગ, નિપુણક તથા સુચરિત નામના ગુપ્તચરોનો નિર્દેશ 'હમ્મીરમદમર્દન' નામના એક સંસ્કૃત નાટકમાંથી મળેલ છે. આ નાટક સંવત 1276થી 1286ના વચગાળામાં જયસિંહસૂરિ નામના જૈન સાધુએ રચ્યું છે. ગુજરાત પરની મુસ્લિમ ચડાઈને માર દઈ પાછી કાઢ્યાનો મહાન બનાવ વસ્તુપાલ-તેજપાલને હાથે બન્યો તેને સાહિત્યમાં અમર કરનારી આ ઐતિહાસિક કૃતિ વસ્તુપાલના પુત્ર જયન્તસિંહની આજ્ઞાથી