આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કવિશ્રી
85
 


“તેજપાલ શેઠે શું કર્યું ત્યાં?”

“વાણિયે અવધિ કરી, બાપુ !” કૃષકોએ દોડતા આવીને લાંબા હાથ કરી કરી, જીભના ગોટા વાળતે વાળતે કથન કર્યું. “મામાને મારતાં શી વાર હતી ! પણ કે કે ના, હું મારું નહીં ! રાણોજી ઘેરે નથી, ને જેતલબા સુવાવડાં છે. હું હાથ ઉપાડું નહીં. પણ એ...ને આ લે તારું દાતરડું ! એમ કહેતાકને બાપુ તેજપાલ શેઠે તો મામાની તલવારને બેવડ જ્ વાળી દીધી. એની તો વજ્જરની મૂઠી, હો બાપુ ! વટનું લોઢું નો'ત તો તો બે કટકા જ કરી નાખત. અને રૂંવાડુંય ધગવા ન દીધું વાણિયે, હો બાપુ ! નીકર બીજો હોય તો બેચાર હત્યા જ કરી બેસે, અરે, છેવટે અમું જેવા હોય તો બે ગાળ પણ કાઢી લે. પણ વાણિયો દોર ન ચૂક્યો. નીકર મલેચ્છો, વણકરો ને તાઈઓ ઝાલ્યા રે’, બાપુ ! એલી એલી જ બોલાવે ના ! પણ વાણિયાની આણ ફરી વળી. બસ એક જ વેણ કે બાપુ ઘેરે નથી, બાપુ બચાડા પાટણ-ધોળકાની હડિયાપાટી કરી કરી રોજ અઢી શેર ધૂળ ફાકે છે. બાપુનાં તો એક સાંધતાં તેર તૂટે છે, બાપુને તો ભૂત કાઢતા પલીત જાગે છે, બાપુનું તો કાસળ કાઢનારાઓ ચોમેર જાગી ઊઠ્યા છે, બાપુને તો ગળે ફાંસી દીધી છે.”

"એ તો ઠીક, બાપુ !” એક ખેડૂત ઊંચી ઘોડી ઉપર ઊભો ઊભો અનાજ વાવલતો વાવલતો બોલ્યો, “પણ મામાએ તો અમારી રાણીમાને બાપડીને રાંડરાંડ જેવી કરી મૂકી.”

લહેકો કરીને એ બોલ્યોઃ બીજાઓએ એનો શબ્દ ઝીલ્યો, “સાચોસાચ રાંડરાંડ બની ગઈ બાપડી !”

“મૂંગો મર, એઈ!” જેહુલ ડોડિયાએ એને હાક મારી.

“બોલવા દે, ભાઈ રાણાએ મરક મરક હસીને કહ્યું, “એના બોલ અનિષ્ટ છે. પણ એના અર્થમાં સહાનુભૂતિ રહેલી છે.”

"માળા ભૂતા” એક બાઈએ કહ્યું, “બાપુ ક્યાં મરી ગયા છે, કે રાંડરાંડ કહે છે રાણીમાને?”

"લે જેહુલ, વધુ સ્વસ્તિ-વાક્યો સાંભળવાં છે હજુ" એમ કહી. રાણાએ ઘોડાં ચલાવવા કહ્યું; સવારી ઊપડી.

"ને હવે પાછા, માબાપા” બીજા ખેડુએ પૂર્તિ કરી, “સાળાને બદલે કોઈક બનેવીને સોંપતા નહીં રાજનો વહીવટ !"

“અને હવે ફરી ફરી વાર કુંવરપછેડા આપવા પડે એવું કરશો મા ભલા થઈને, બાપુ !"

“શું છે આ કુંવરપછેડાની વાત?” ચાલતે ચાલતે રાણાએ પૂછ્યું ને એને