આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦
ગુલાબસિંહ.

તેને જ મનમાં ગણકારતો નથી, અને પોતાના શુભ બોધને અનુકુલ જગત્ બને તોપણ તેથી પોતે જુદો છે એમ જણાવવા ઇચ્છે છે.

છેવટ એટલું જણાવવું જોઈએ કે આ માણસ ફઘાનીસ્તાન તથા ખોરાસાનમાં જમા થતાં મુસલમાન ટોળાંના શહનશાહ સાથે મસલહતમાં હતો. ચીતારાનો ધંધો કરતાં, લોકોમાં રજપૂતોના જુલમની વાત સમજાવી મુસલમાનોના ગુણ ગાઈ તે પ્રિય થઈ પડ્યો હતો. કોઈ વાર ફકીરીનો ઢોંગ ભજવીને ગરીબ લોકોના મનની વાતો પણ ભેગી કરી લાવતો. એનું નામ બંદા કરીને હતું.

"ઓહો લાલાજી ! ઘણે દિવસે મળ્યા ! તમને મળીને મને ઘણો આનંદ થયો. કેમ શા વિચારમાં છો?"

"એમાં કાંઈ મઝા ન હતી, તમે મળી આવ્યા એજ સારું થયું.”

"જુઓ જુઓ લાલાજી ! અમારું કામ ઠીક વધવા માંડ્યું છે” બંદાએ ખીસામાંથી થોડા ઉર્દુ કાગળો ખેંચી કાઢી કહેવા માંડ્યું “અલ્લા ને પરમેશ્વર એક જ છે, જો કે મારા મનમાં તો કોઈ નથી. તમે અહિયાં મહોટા ને નાના એમ એક એકથી પીડાઓ છો, પણ જ્યારે અમે આવીશું ત્યારે બધું સમાન થઈ જશે. કોઈને દુઃખ રહેશે નહિ, અને હાલમાં જે સદ્‌ગુણ ગણાય છે તે તે વખતે નીચપણું સમજાશે, અહા ! તે પરમસૂખ ! ઉપકાર એ શબ્દજ પછી ક્યાં રહ્યો ? અલ્લાહની નિગાહમાં તો ઈનસાન માત્ર સરખાં છે.”

આમ વાત ચાલતી હતી તેવામાં પાસેથી એક ત્રીજો અવાજ સંભળાયો "હાં પછી, પછી;” તે સાંભળીને બન્ને જણ ચમકી ઉઠ્યા, લાલાએ તો આ નવા માણસને તુરતજ ઓળખ્યો કે ગુલાબસિંહ !

બંદા તરફ કરડી નજરે ગુલાબસિંહ જોઈ રહ્યો, અને બંદો લોચો થઈને નરમ બની ચંપાઈ ગયો. વાહ બંદા ! ઈશ્વર કે પિશાચ ઉભયની ભીતિ ન રાખનાર ! માણસથી તું ડરી ગયો !

"રે દગાબાજ ! પરોપકારની નિંદા કરતાં મેં તને વળી આજ ફરીથી સાંભળ્યો.”

મોઢે આવેલ બોલ ખાઈ જઈ, ગુલાબસિંહને લુચ્ચાઈથી નીહાળતો બંદો ધ્રૂજતે ધ્રૂજતે બોલ્યો “તમે કોણ છો ? શું માગો છો ?”