ઉદારતા તથા શ્રદ્ધાની ઉત્કર્ષકારક ઉત્તેજક વાતોને, હલકા તથા દગા ભરેલા રૂપે બતાવી, ટાઢા કરી નાખે છે તથા નીચ બનાવી દે છે. આમ થવાથી માણસની મહા આનંદરૂપ અમૃત હેલીમાં ઝેરના કણ ભળી જાય છે, અને તેને ભાગે દુઃખ વિના બીજું કાંઈ રહેતું નથી. અરે ! હજાર ફિટકાર હો તેવા બેવકૂફોને કે જે ખરું દિલ ન સમજતાં પોતાની દોઢડાહી અક્કલની ખીલી આવી સોનાની થાળીઓમાં મારે છે ! તમે તમારા પરમેશ્વરને–પૈસાને, આબરૂને, લોકકસ્તુતિને–ભજો, ભલે તેમ કરી–દગો, ફટકો, આડાં અવળાં કરી–બાદશાહી ભોગવો–પણ રહેવા દો બીચારા તરંગી આનંદીને તેના એકાંત આનંદમાં, તેણે રચેલી તેની દુનીયાંમાં ! ગમે તો તેનાં ગીત ગાઓ, ગમે તો ગાળો ભાંડો, પણ શા માટે તેનો આનંદ ભંગાવો છો ? શું આનું નામ તમે ડહાપણ કહો છો ? એક સમર્થ વિદ્વાને સામાન્ય સાવચેતી અને ડહાપણનો તફાવત બતાવ્યો છે : ખરા ડહાપણમાં કાંઈક એવું સાહસ સમાયેલુંજ રહે છે કે જેનો સાવધાની તિરસ્કાર કરે છે : “ટુંકી નજરવાળા જે કીનારેથી વહાણ ચાલવા માંડે છે તેનેજ જોયાં કરે છે, પણ જે સામે કીનારે મુસાફરીના સાહસથી પહોંચાશે તે પર દૃષ્ટિ દોડાવતા નથી.” વસ્તુગતિ આવી છતાં પણ દુનિયાંદારીના ડાહ્યા લોક કોઈ વાર એવી તકરારો ને દલીલો લાવે છે કે જેનું ઉત્તર કરવું કઠિન પડે છે. તમારામાં કોઈ સમર્થ રસજ્ઞતા હોવી જોઈએ–જેમાં આત્માર્પણ કરવાનું હોય, જે કેવલ ઇશ્વરરૂપ હોય, તે ઉપર શ્રદ્ધા હોવી જોઈએ-પછી કોઈ વિદ્યામાં, કલામાં, ધર્મમાં, કીર્તિમાં, પ્રેમમાં કે ગમે ત્યાં, પણ તેવી શ્રદ્ધા હોવી જોઈએ; નહિ તો વ્યવહારબુદ્ધિ તમને આત્માર્પણનો માર્ગ તજવાનાં ઘણાં કારણ સૂચવી તમારા પરમેશ્વરને પણ બજારની જણસ જેવો ટકાનો તેર બનાવી મૂકશે. અહો ! સાવધ રે’ માણસ ! દુષ્ટ દુનિયાંના ઉપદેશથી ! સ્વાર્થની જાલ ગહન છે ! પરખવીજ અશક્ય જેવી છે.
ચિત્રવિદ્યાના મહા ગુરુઓનો એમ સંપ્રદાય છે કે વિશ્વરચનાનું અનુકરણ કરવામાં એ હુન્નરની ખુબી નથી. પણ તે રચનાને જોઈ, તેને છે તેથી ઉચ્ચતર બનાવવામાં મહત્તા છે. ખરી વિદ્યામાત્રનો ઉદ્દેશ આવી રચનાઓ કરતે કરતે મર્ત્યભાવ તજી અમર સમીપ પહોંચવામાં છે. ખરી વાત છે કે સમર્થ ચીતારો તેમજ સમર્થ લેખક બને, માણસોમાં જે હોઈ શકે તેનું બ્યાન આપે છે, છતાં પણ માણસોમાં સામાન્ય રીતે સર્વત્ર મળે તેવાનું નથી આપતા. ધર્મ, રામ, કૃષ્ણ, હરિશ્ચંદ્ર, અરે દયમંતી, શકુંતલા, સાવિત્રી, રતિ, તેમજ