લાલાજી અંદર છે, તેથી તે ત્યાં થોભ્યો હતો. દુનીયાંની હાસીની માણસને જે અસર થાય છે, તેથી કોણ અજાણ્યું છે ? રામલાલ દુનિયાંદારીરૂપજ હતો. એનું હસવું, તે, લાલાને આખી દુનીયાંની હાસી રૂ૫ લાગ્યું. તુરત હોઠે આવેલું ઉત્તર પાછું ગળી ગયો, એનો વિચાર બદલાઈ ગયો. રમા, તો, આતુર દૃષ્ટિએ, એના નોં સામુંજ જોઈ રહી હતી. છેવટ લાલાએ ગણગણતે ઉત્તર આપ્યું “રમા ! તું જે ધંધામાં છે, તે ધંધાવાળાં પ્રેમ અને લગ્ન બે એકરૂપજ માને છે શું ?” રે વિષવૃત્તિ ! રે વજ્રપાત ! લાલો બોલતાં શું બોલ્યો, પણ તુરતજ પસ્તાવા લાગ્યો. તુરતજ એનાં બુદ્ધિ, હૃદય, અને આત્મા ઠપકો દેવા લાગ્યાં. પોતાનાં વિષયભર્યાં વચનથી, રમાને, કરમાઈ જતાં ફૂલ જેવી એણે જોઈ. એના મુખ ઉપરથી લોહી ઉડી ગયું; એના હાઠ ધોળા ધબ થઈ ગયા; તુરતજ, ખેદમય દષ્ટિથી, લાલા કરતાં પોતાની જાતનેજ ઠપકો દેતી હોય તેમ, દયાભર્યાં વચન બોલી : “બરાબર, જયપુરવાસી ! બરાબર; એણે ખરું કહ્યું, હું ગામ બહારની બહારસીજ છું.”
“સાંભળ, સંભાળ, રમા ! હું ભુલ્યો, મને માફ કર !”
પણ રમાએ ગણકાર્યું નહિ અને ઉદાસીથી નિરાશાના નિરવધિ દુઃખને હસતી હોય તેમ વ્હીલે મોંએ રંડા બહાર જતી રહી. લાલો પણ એને અટકાવવાની હીંમત કરી શક્યો નહિ.
પ્રકરણ ૯ મું.
દુનીયાંને આપેલો ભોગ.
નિરાશ થઈને લાલાજી જેવો રમાના ઘરની બહાર આવ્યો કે તુરતજ રામલાલ જે ત્યાં ઉભોજ હતો તેણે એનો હાથ ઝાલ્યો. લાલો એને ધુતકારીને મીજાજમાંજ બોલ્યો “તું અને તારી જીભ બેએ મને કેવલ બાયલો બનાવી દુઃખના દરીયામાં ડુબાવ્યો છે. ફીકર નહિ, હજી કાંઈ વહી ગયું નથી. હું ઘેર જઈને તુરતજ એના ઉપર લખીશ, એની માફ માગીશ, એ મને માફ કરશેજ.”