“હું ભુલ્યો, ખરી વાત છે, મારી કહેવાની મતલબ એટલીજ છે કે
સ્ત્રીઓની આનંદી જાતને તે વધારે મળતાવડો થઈ પડતો ?”
“ત્યારે તો હશે કોઈ ફક્કડ, વહી ગયેલો.”
“ના ના, વહી ગયેલો તો નહિ; જરાક અસ્થિર મનનો — બહુજ વિચિત્ર — પણ વહી ગયેલ તો નહિ જ. બહુ સાહસવાળો, અને માથાનો ફરેલ, પણ શરમાળ અને ગરીબ પ્રકૃતિનો — ટુંકામાં બૈરાંને સારો લાગે એવો. એ વાત તો ઠીક, પણ એના વિષે જે વાત મેં સાંભળી છે, તેથી મને બહુ ઉત્સુકતા વધી છે. એમ સાંભળ્યું છે કે કોઈ ઘણીજ વિલક્ષણ અને અનિયમિત રીતિએ તે રહે છે, આમતેમ રખડે છે, ને બહુ ખર્ચમાં પણ ત્યારે તો આવી પડ્યોજ હશે !”
“ખર્ચની વાત ઠીક કહી; આપણે પણ આપણો મોદી બદલવો જોઈએ, રસોઈઆ સાથે કાંઈક મસ્લહત સમજાય છે.”
“એમ હોય તો બહુ ખોટું — પણ એનું સીધું સારું આવે છે. અહીંના ચાકર તો એવાજ હોય છે, પણ આ બીચારો લાલો !—”
આવી વાત ચાલે છે કે “લાલો” એટલો શબ્દજ રામલાલના મોંઢામાંથી નીકળ્યો છે તેવામાં જ કોઈએ બારણું ઠોક્યું કે શેઠાણી ચમકી ઉઠ્યાં “વળી અત્યારે તે કોણ હશે ! દશ ઘડી તો રાત ગઈ છે !”
“વખતે તારા કાકા હશે.” રામલાલે જરાક કરડાકીમાં કહ્યું ને ઉમેર્યું કે “એમની મહેરબાની ઘણું ખરું આ વખતેજ થાય છે.”
“પ્રિયતમ ! હું આશા રાખું છું કે મારાં કોઈ સગાં તમને ભારે તો નહિજ પડતાં હોય. મારા કાકા બહુ આનંદી માણસ છે — ને વળી પોતાની મીલકતના પોતેજ પૂરા માલીક છે.”
“એ જેવું બીજું કાંઈ મને વધારે પ્રિય નથી” એમ રામલાલે “એ” ઉપર જરાક ભાર દઈને ઉત્તર આપ્યું.
એટલામાં ચાકર લાલાજીને અંદર લઈ આવ્યો.
“લાલાજી !” શેકાણીએ સહજ આશ્ચર્યપૂર્વક કહ્યું “અહો ! અત્યારે આજ — આટલે દહાડે ક્યાંથી ?”
ઘણા વખતના વિયોગ પછી મળતાં પૂર્વના સ્નેહસંસ્કાર જાગ્રત્ થઈ જેવા ભાવથી બે મિત્રો મળે તેવા ભાવથી લાલાજી અને રામલાલ પરસ્પર