“અરે પ્યારી — પ્યારી — આ શુ” છેવટ રામલાલે નરમાશથી કહ્યું ત્યારે તેની પત્નીએ ઉત્તર આપ્યું “શું છે ?”
રામલાલે કહ્યું “મારા મિત્રને સૂવા માટે કીયો ઓરડો તૈયાર કરીશું ?”
પણ મિત્ર તો તકીયે ૫ડ્યો હતો ત્યાંજ લાંબા ટાંટીયા કરી શગડીમાંના દેવતા ઉપર એકી નજરે જોઈ રહ્યો હતો. તે પોતે પૂછેલી વાત તદ્દન વીસરી ગયો હતો.
રામલાલની પત્નીએ જરા મિજાજથી કહ્યું “હાવેજ — શા માટે નહિ — હમણાં તૈયાર છે — તમારા મિત્રો અહીંયા ક્યાં પારકું ગણે છે.”
એટલું કહીને એક દીવો સળગાવી ઠસ્સાબંધ શેઠાણી ચાલ્યાં, અને બંદોબસ્ત કરીને પાછાં આવ્યાં ત્યારે તો રામલાલ અને લાલો રામલાલની ખાનગી કોટડીમાં ભરાઈ ગયા હતા.
મધ્યરાત્રીનાં ચોઘડીયાં સંભળાયાં પણ એ તો હાલ્યાએ નહિ કે ચાલ્યાએ નહિ. શેઠાણીએ ત્રણ ત્રણ વાર કાંઈ ને કાંઈ મિષ કાઢીને બાંદીને તેમની પાસે મોકલી; પ્રથમ પૂછાવ્યું કે કાંઈ જોઈશું ? વળી કહાવ્યું કે લાલાજીને સૂવાની પથારી તૈયાર છે. ત્રીજી વાર પૂછાવ્યું કે લાલાજીનો સામાન ક્યાં મૂકવો છે ? પણ આ બધા પ્રશ્નોના ઉત્તરમાં લાલાજી મહોટે હોકારે “ભર યાર, ફરી ભર, ઉઠાવ” એવા જે શબ્દો બોલતો હતો તેજ મળતા હતા.
છેવટ રામલાલે પોતાની પત્નીના ઓરડામાં છેક પરોઢીએ ગયો — જરા પણ દિલગીર ન હતો, માફ માગતો ન હતો, કશું નહિ; આંખ દબાતી હતી, મોઢે તેજનો ચમકાટ રમી રહ્યો હતો, પગ લથડતા હતા, તે એકાદ ભાગુ તૂટૂ તાન ભારવામાં તેને આનંદ લાગતો હતો, શેઠાણીએ ઘણીક આજીજી કરી, ઘણો ધમકાવ્યો, પણ કાંઈ સાંભળેજ કોણ !
પ્રકરણ ૩ જું.
લાલાજીનો વેપાર.
બીજે દિવસે સવારમાં શગડીએ તાપતાં ત્રણે જણ બેઠાં હતાં ત્યાં રામલાલની પત્નીએ મહા અપમાન થયું હોય અને બહુ ખાટું લાગ્યું હોય તેવી આકૃતિ કરી રાખી હતી. રામલાલ તો મૂર્તિમાન્ પશ્ચાત્તાપ અને ક્રોધપ્રતીકાર