પોઢવાની પ્રતિજ્ઞા લીધી હતી. હાહુલીરાય ભાણામાં ચપટી ધૂળ નાખ્યા વિના જમતો નહિ, અને અનેક રજપૂતો આ બે સામંતોની છાવણીમાં રાત દિવસ અનેક મસ્લતો કર્યા કરતા. ગોરી બાદશાહને આ વાતની ખબર હતી, અને જે કતલ તેણે ચલાવી હતી તે આ લોકોને ત્રાસ પમાડી પૃથુરાયને છેવટ મારી નાખી પોતાનું રાજ્ય નિષ્કંટક રીતે સ્થાપવાના ઉદ્દેશથી ચલાવી હતી. એવું અન્યાયનું કામ કરનાર કોઈ ન્યાયી મુસલમાન પણ કબુલ થતો ન હતો તેથીજ તેણે કાફૂર નામના એક ગુલામને કાજીની પદવીએ ચઢાવી આવા ઈનસાફોનું કામ સોંપ્યું હતું. જયચંદ પાસે સૈન્ય હતું એટલે એકાએક કાંઈ બને એમ ન હતું, તેમ જયચંદ પણ મુસલમાનો સામે એકાએક કાંઈ કરી શકે એમ ન હતું. ચંદવરદાયી સર્વ રજપૂતોને બરદાવતો હતો અને મ્લેચ્છોનો પરાજય કરવા ઉશ્કેરતો હતો. આ પ્રસંગે જયચંદની પુત્રી સંયોગતા જે પોતાના પતિનો છૂટકારો કરાવવા મથન કર્યા કરતી હતી તેને કોઈ પ્રકારે પકડીને મથુરામાં કેદ રાખવામાં આવી હતી, તેથી રજપૂતો માત્રનાં લોહી બહુ ઉકળી ગયાં હતાં. ગોરીને એમ લાગતું હતું કે હવે કાંઈને કાંઈ નીપજશે, માટે તેણે વાતને નીકાલ ઉપર તાણી આણવા માટે ચંદવરદાયીને પકડાવ્યો હતો. જે વૃદ્ધ માણસને કાફૂરના માણસોએ પકડ્યો હતો તે એ જ હતો, જેવો તેને પકડ્યો કે લોકોની આંખો લાલચોળ થઈ ગઈ, સર્વનાં નેત્રમાંથી ખૂન વરસવા લાગ્યું, કંઈક તરવારો ઉપર હાથ પડ્યા, ચંદે પણ તરવાર ખેંચી એક બેને પાર કરી નાખ્યા, પણ કાંઈ વધારે નીપજ્યું નહિ. લોકો વરદાયીને વીટાઈ વળ્યા, અને શી રીતે એનો બચાવ થાય તેની યુક્તિ રચવા લાગ્યા. એવામાં મ્લેચ્છ લશ્કરની એક ટુકડી આવી જેથી લોકો દૂર થયા, અને ચંદને વળી વધારે ચોકશીથી પકડી રાખવામાં આવ્યો. એ સમયે ચંદના કાનમાં શબ્દ થયો કે “ તારી પાસે એક પત્ર છે, જે પકડાશે તો તારા છેલ્લા આશ્રમનું પણ નિકંદન થશે, માટે તે મને આપી દે, હું તે જયચંદને આપીશ.” ચંદે આવું કહેનાર ઉપર દૃષ્ટિ કરી, કોઈ અજાણ્યો જ માણસ દીઠો, પણ તેની આકૃતિ ઉપર વિશ્વાસ પેદા થયો, અને કાગળ આપી દીધો.
ગોરીની સામા પક્ષના રજપૂતો જયચંદના મુકામમાં સાયંકાલે, શું કરવું? સંયોગતાને શી રીતે છોડવવી ? તેનો વિચાર કરવા, અને એકદમ વચલા બે દિવસમાં જ આમ કે આમ પાર પડવાની તૈયારી કરવી, ભેગા થયા હતા, સર્વ સામાન્ય દેશશત્રુની સામા થવા માટે સર્વે પોતપોતાની ખાનગી લાગણીઓ