આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૪
ગુલાબસિંહ.

આણી પાસા બાદશાહ અને કાફુરે માર્ગમાં જતે જતેજ વિચાર કર્યો કે હજી ત્રાસ વિના બીજો માર્ગ આપણા હાથમાં નથી, ત્રાસ બેસાડ્યા ૫છીજ, આપણે રાજ્ય કરીશું. બાદશાહે કહ્યું કાફૂર ! જે કામો તારે ચલાવવાનાં છે, ને ગુનેગારોની કતલ કરાવવાની છે તેને બે દિવસ જેટલી વાર પણ શા માટે જોઈએ ?– કાલે સવારે જ કેમ હુકમ કરતો નથી? પેલા જયપુરીઆને પકડવાથી જયચંદ વિરૂદ્ધ પુરવો મળવાની આશા હતી તેનું શું થયું?”

“જહાંપનાહ ! આપના હુકમ પ્રમાણે થશે. જયપુરીઆનો તો પત્તો લાગતો નથી, માત્ર એક સ્ત્રી પડાયેલી છે, તે તેની માશુક છે એમ કહેવાય છે.”

“એમાંથી પણ કાંઈક નીકળશે; રજપૂતોનો વિનાશ થયા વિના આપણે જંપીને રહેવાના નથી, ને જ્યાં સુધી પૃથુરાય જીવે છે ત્યાં સુધી રજપૂત ટાઢા પડવાના નથી. માટે તું એકદમ એ બધા ગુનેગારોનાં માથાં ઉડાવી દે કે તેથી જે ત્રાસ વ્યાપે તેની અસર મટતા પહેલાં આપણે પૃથરાયનો પણ નીકાલ કરી સ્વતંત્ર અને નિર્ભય થઈએ. ”

******

માનું મરણ એક દિવસ વહેલું ઠર્યું. એના ઉપર કામ એક દિવસ વહેલું ચાલશે, જે ગૂઢજ્ઞાનથી ગુલાબસિંહનો આજ પર્યંતનો વ્યવહાર નીપજ્યો હતો તેજ જ્ઞાનથી એણે જાણ્યું કે હવે કશો ઉપાય રહ્યો નથી. બાદશાહનું નિકંદન થનાર છે તે તો એ જાણતો હતો, मत चूके महोटे तवे એ ઉક્તિ એના જાણવામાં તો ઘણા વખતથી આવેલી હતી;– પણ એ પછી માત્ર એક દિવસ મા જીવે ! અરે કાલનો દિવસ જ જીવે ! તો ઉગરી જાય. જે દિવસે બાદશાહે અનેકની કતલ કરાવવી ધારી હતી તે દિવસે તેનો જ વધ થનાર હતો એ વાત ગુલાબસિંહ જાણતો હતો, પણ મા ત્યાં સુધી જીવતી રહેવાને બદલે હવે તો તે દિવસને આગલે દિવસે મરવાની ઠરી ! ગુલાબસિહે અનેક યુક્તિ રચના અને પોતાની ગૂઢશક્તિના પ્રભાવથી બધી વાત રચી રાખી હતી, પણ બાદશાહના એક શબ્દે તે બધી ધૂળ ધાણી કરી નાખી !