આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯
નવો આશક.


રામલાલ બોલી ઉઠ્યો કે “એમાં શું આશ્ચર્ય જેવું છે ?”

“ગમે તેમ હો, પણ અમે તો જરા વેહેમી ખરા એટલે આ બધી વાતમાં કાંઈક ચમત્કાર માનીએ છીએ. બીજે દિવસે એ વાત બધા ગામમાં ચુંથાઈ રહી, ને એને હજારો લોક જોવા ભેગા થવા લાગ્યા. મેં પણ તેને ઘણા સારા લોકો સાથે પિછાન કરાવી આપ્યું. એનું રૂપ, તથા એની સમૃદ્ધિ આ બેથી છીએ પણ ટોળે ટોળાં થઈ એને જોવા ભેગી થવા લાગી.”

રામલાલે જવાબ દીધો “બહુ સરસ વાત, એમાં શક નહિ. કેમ લાલા ! હવે તો છેક વહાણું વાવા આવ્યું ચાલ ઉતારા તરફ જઈએ.”

રામલાલ અને લોલો રસ્તે ચાલતા હતા, તેવામાં લાલાએ પુછ્યું “કેમ દોસ્ત ! આ ગુલાબસિંહનું શું ધાર્યું ?”

“એમાં શું ધારવાનું છે ? કોઈ પહોંચેલો ઠગ દેખાય છે, સિદ્ધસાધક વિના વાત બંધ બેસે નહિ. આ હમીર એનો ઢંઢેરો પીટે ને ગુણ ગાય ને પોતે જરા ઠાવકું મોં રાખીને વાત કરે એટલે પછી બધું ચાલ્યું જાય.”

“ના, મને એમ લાગતું નથી. રજપૂતનો દીકરો ને તે પણ બહાદુર. કાબેલ તથા પૈસે પરિપુર્ણ એવો હમીર આવા જુઠાણામાં હાથ ઘાલે નહિ, તેમ ઠગારા લોક જેવો ડોળ રાખે છે તેમાંનું આ ગુલાબસિંહની શાંત તથા શરમાલ પ્રકૃતિમાં કાંઈ જણાતું પણ નથી.”

“તને હજુ દુનીયાંનો અનુભવ નથી. એ પરદેશીનાં ચેહેરોને આકૃતિ જરા ભવ્ય છે, તેનો એ થાય તેટલો ઉપયોગ કરે છે ને શરમ ને શાંતિ એ ઠગાઈનાં ભાઈ બેહેનજ સમજવાં. બેઠાં પાણીજ ઉડાં વહે છે. પણ મરશેએનું આપણે શું કામ બળ્યું છે !- કેમ તારી પ્યારી શું કરે છે ?”

“આજ તે રમા મને મળી શકી નહિ.”

“જોજે એને પરણવાનો વિચાર કરતો, જયપુરમાં લોક શું કહેશે ?”

“અરે યાર ‘જો હાજર સો હુઝુર’ –આપણે જવાન છીએ, પૈસાવાળા છીએ ને વળી દેખાવડા છીએ, તો આજ જે થાય તે તો કરો, કાલની વાત કાલે છે.”

“રંગ છે લાલા ! આ આપણો ઉતારો આવ્યો, જા હવે જઇને સુઈ રહે; ગુલાબસિંહની વાત મનમાંથી કાઢી નાખજે.”