આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[આજે તો પોઢી લે, બચ્ચા ! કેમ કે એ સમય જલદી આવી પહોંચશે, જ્યારે રણશિંગ ને પડઘમથી તારી નિદ્રા ઊડી જશે. માટે આજે તો આરામ લઈ લે; કેમ કે સંગ્રામ આવે છે. જુવાની બેસતાં, અને જાગૃતિ આવે છે દિવસ ઊગમતાં.]
કાઠિયાવાડ-ગુજરાતમાં ગઢો છે. કિલ્લા છે, સંગ્રામોના ને વીરમૃત્યુના ઇતિહાસ છે. પરંતુ કોણ જાણે શા કારણે એ શૌર્યના સૂરો જૂનાં હાલરડાંમાં જાગ્યા નથી. ફક્ત કૃષ્ણજીવનમાંથી કાળીનાગના દમનના ને કંસવધના ક્ષીણ ધ્વનિઓ ક્યાંક ક્યાંક લોકમાતાઓના કંઠમાંથી નીકળ્યા છે :
- ડોશી એમ કરીને મેણું બોલિયાં રે લોલ,
- તારા બાપનાં હતાં તે વેર વાળને રે લોલ,
- માડી અમને તે વાત કરી આલને રે લોલ.
- જાવું મામાને ઘેરે મળવા રે લોલ.
- સાંકડી શેરીમાં મામો સામા મળ્યા રે લોલ,
- ભાણેજ દેખીને મામો સંતાઈ ગિયા રે લોલ.
- સંતા સંતા મા મામા મૂરખા રે લોલ,
- આપણે મામો-ભાણેજ બહુ મળીએ રે લોલ.
- હૈયું ભીંસીને મામો ભાણેજ બહુ મળ્યા રે લોલ,
- તારા બાપનાં હતાં તે વેર વળી ગિયાં રે લોલ.
- [‘રઢિયાળી રાત’]
અથવા તો –
- મા મને હાઉલું દેખાડ્ય
- મા મને હાઉલું દેખાડ્ય
- હાઉ છે લંકા લખેશરી !
- માડી, મને નવ જાણીશ નાનકો;
- કાલે મોટેરો થઈશ.
- કાલે મોટેરો થઈશ
- વેરી મારીશ આપણા.
- [‘રઢિયાળી રાત’]
અથવા કદાચ બહુ તો –
- પાતાળે જઈ કાના હાં હાં હાં
- નાથ્યો કાળી નાગ;
- વારિ ને વરમાંડ ડોલ્યાં
- મેવાડો મસ્તાન
- ભાઈ ! ભાઈ ! મેવાડો મસ્તાન !
- ઓળોળોળો હાલ્ય હાલુડા હાલ્ય !
- હાલો વાલો રે બાળ કરસન કાળો
- હરિને હીંચકો વા’લો!
- [‘રઢિયાળી રાત’]
આવા સાદા સ્વરોમાં કોઈ કોઈ ઠેકાણે જ –
228
લોકગીત સંચય