આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
તેથી પૂર્વજોએ હદ બાંધી. ઘણા વિચારો કરીને જોયું કે સુખદુઃખ મનનાં કારણ છે. તવંગર તે તવંગરીના કારણથી સુખી નથી; ગરીબ તે ગરીબાઈના કારણથી દુઃખી નથી. તવંગર દુઃખી જોવામાં આવે છે, ગરીબ સુખી જોવામાં આવે છે. કરોડો તો ગરીબ જ રહેશે. આમ જોઈ તેઓએ ભોગની વાસના છોડાવી. હજારો વરસ પહેલાં જે હળ હતું તેથી આપણે ચલાવ્યું. હજારો વરસ પહેલાં જેવાં આપણાં ઝૂંપડાં હતાં તે આપણે કાયમ રાખ્યાં. હજારો વરસ પહેલાં જેવી આપણી કેળવણી હતી તે ચાલતી આવી. આપણે નાશકારક હરીફાઈ રાખી નહીં; સહુ સહુનો ધંધો કરતા રહ્યા. તેમાં તેઓએ દસ્તૂર મુજબ કામ લીધું. કંઈ સંચા વગેરે શોધતાં ન આવડે તેમ ન હતું; પણ આપણા પૂર્વજોએ જોયું કે સંચા વગેરેની જંજાળમાં માણસો પડશે તો પછી ગુલામ જ બનશે ને પોતાની નીતિ