આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
अधिपति :
મારા વિચાર એકદમ સહુ કબૂલ કરે એવું હું ધારતો જ નથી. તમારા જેવા માણસો જે મારા વિચાર જાણવા માગે તેને મારે જણાવવા એ જ મારું કર્તવ્ય છે. પછી તે વિચારો તેવાને પસંદ પડે કે નહીં તે તો કાળે કરીને જ જણાશે.
હિંદને છૂટવાના ઉપાય તો ખરું જોતાં આપણે જોઈ ગયા; છતાં તે બીજે રૂપે જોયા. હવે આપણે સ્વ-રૂપે તપાસીએ.
જે કારણથી દરદી માંદો પડ્યો હોય તે કારણ દૂર કરે તો દરદી સાજો થાય, એ જગતપ્રસિદ્ધ વાત છે. તેમ જ જે કારણથી હિંદ ગુલામીમાં આવ્યું તે કારણ દૂર થાય તો તે બંધનમુક્ત થાય.
वाचक :
હિંદનો સુધારો તમે ગણો છો તેમ સર્વોત્તમ છે, તો પછી તે કેમ ગુલામીમાં આવ્યું ?