આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રથમ તો મૅઝિની અને ગૅરિબાલ્ડી વચ્ચેનો તફાવત જાણવા જેવો છે. મૅઝિનીનો મનોરથ જુદો હતો. મૅઝિની જે ધારતો તે ઇટાલીમાં નથી થયું, મૅઝિનીએ માણસજાતની ફરજ ઉપર લખતાં બતાવી આપ્યું છે કે દરેક માણસે સ્વરાજ ભોગવતા થઈ જવું જોઈએ. એ તો તેને સ્વપ્નવત્‌ રહ્યું. ગૅરિબાલ્ડી તથા મૅઝિનીની વચ્ચે મતભેદ થયેલો એ યાદ રાખજો. વળી ગૅરિબાલ્ડીએ દરેક ઇટાલિયનને હથિયાર આપ્યાં ને દરેક ઇટાલિયને હથિયાર લીધાં.

ઇટાલી અને ઑસ્ટ્રિયા એ બેમાં સુધારા-ભેદ ન હતો. એ તો 'કાકા કાકાના' ગણાય. 'જૈસે કો તૈસા' એવી વાત ઇટાલીની હતી. ઇટાલીને પરદેશી(ઑસ્ટ્રિયા)ની ધૂંસરીમાંથી છોડાવવું એવો ગૅરિબાલ્ડીનો મોહ હતો. તેને અંગે તેણે કાવૂરની મારફતે જે કાવતરાં કર્યાં તે તેના શૌર્યને ઝાંખપ લગાડે છે.

૧૨૫