આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

वाचक :

પણ હાડવેરનું શું?

अधिपति :

'હાડવેર' એ બંનેના દુશ્મને લીધેલું વચન છે. જ્યારે હિંદુ-મુસલમાન લડતા ત્યારે તેવી વાતો પણ કરતા. લડતા તો ક્યારના બંધ થયા છીએ. પછી હાડવેર શાનાં? વળી એટલું યાદ રાખજો કે અંગ્રેજ આવ્યા પછી આપણે લડતા બંધ થયા છીએ એવું કંઈ નથી, હિંદુઓ મુસલમાન રાજાઓની નીચે, અને મુસલમાનો હિંદુ રાજાઓ નીચે રહેતા આવ્યા છે. બંને જણને પાછળથી માલૂમ પડ્યું કે લડાઈ કરવાથી કોઈને ફાયદો નથી, લડાઈથી એકબીજા પોતાનો ધર્મ નહીં છોડે, તેમ એકબીજા પોતાની હઠ પણ નહીં મૂકે. તેથી બંને એ સંપીને રહેવાનો ઠરાવ કર્યો. કજિયા તો પાછા અંગ્રેજોએ શરૂ કરાવ્યા.

૮૦