આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લેવો નહીં, આ ધાર્મિક કાયદો છે એમ હું તો માનું છું.

'હા'ને અને 'ના'ને હંમેશા વેર છે. જો હું વાદ કરું તો મુસલમાન પણ વાદ કરશે. જો હું ટેડો બનીશ તો તે પણ ટેડો થશે. જો હું વેંત નમીશ તો તે હાથ નમશે; ને કદાચ નહીં નમે તો કંઈ હું નમ્યો તે ખોટું કર્યું નહીં કહેવાય. જ્યારે આપણે હદ કરી ત્યારે ગાયનો વધ વધ્યો. મારો અભિપ્રાય છે કે ગોરક્ષાપ્રચારિણી સભા ને ગોવધપ્રચારિણી સભા ગણાવી જોઈએ. તેવી સભા છે એ આપણને નામોશી પહોંચાડે છે. વધારે ગાયની રક્ષા કરતાં ભૂલ્યા ત્યારે તેવી સભાની જરૂર પડી હશે.

મારો ભાઈ ગાયને મારવા દોડ તો અમારે તેનું શું કરવું? તેને મારે મારવો કે પગે પડવું? જો તેને પગે પડવું એમ તમે કહેશો તો મુસલમાન ભાઈને પણ પગે પડવું.

૮૪