આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




રૂપનો ઈજારદાર

માનવી જાતે પોતે જ પોતાના સુખની આડે ન આવતો હોત તો તે તેની આસપાસ સુખનું સ્વર્ગ રચાયે જ જતું હોત. પરંતુ મોટે ભાગે માનવી પોતે જ પોતાના સુખને પકડી ખેંચી રાખવા માગે છે. મૂઠીમાં, પેટીમાં કે પહેરામાં સંતાડી રાખવા માગે છે અને રખે કોઈ એ સુખમાં ભાગ પડાવી જાય એનો ભય સેવ્યા કરે છે, એટલે એનું સુખ પણ એને કંઈ કામમાં આવતું નથી.

શરદ એક સુખી યુવાન હતો; ભણેલો હતો સંસ્કારી હતો. અને ધનિક પિતાનો પુત્ર હોઈ એની નાની વયથી જ ધનના વ્યવસાયમાં તે લાગી ચૂકેલો હતો. કેટલાક યુવાનોનાં માતાપિતા તેમના યૌવનને આંગણે જ મૃત્યુ પામી યુવાનોને મિલકતના માલિક બનાવી આભારી કરે છે. શરદનાં માતાપિતા પણ તેની રર–૨૪ વર્ષની વયે મૃત્યુ પામ્યાં હતાં અને તેને આખી મિલકતનો વારસ અને વ્યવસ્થાપક બનાવતાં ગયાં. ભણતર, બુદ્ધિ અને અનુભવ ત્રણેએ મળીને તેને એક સફળ ધંધાદારી બનાવ્યો અને સ્વર્ગમાં બેઠેલાં માતાપિતા બહુ રાજી થઈ આશીર્વાદ વરસાવે એવી કુશળતા અને કુનેહપૂર્વક શરદે પોતાનો ધંધો ધપાવ્યે રાખ્યો. એમાં એની પ્રતિષ્ઠા પણ વધતી ગઈ અને જનતામાં તેનો સામાજિક ઉપયોગ પણ સરસ થવા લાગ્યો. આમ માનવી માગી શકે એટલું સુખ શરદને શરદનો પૈસે આપી શકે તેમ હતું,

તેને અત્યંત રૂપાળી પત્ની પણ મળી હતી. પત્નીનું નામ માધવી. માધવી રૂપાળી જ માત્ર ન હતી; તે સારું ભણેલી હતી,