આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કલ્યાણી : ૫૫
 


‘વૈદ્યરાજના હું શા શા આભાર માનું ?’

‘વૈદ્યરાજ !... અરે હાં ! એ તો ઠીક છે. પણ અત્યાંરે મને શાતા વળવાની શરૂઆત કેમ થઈ તેની તને હજી સમજ પડતી લાગતી, નથી.’ કૌશિકે કહ્યું.

‘ના, હું તો એક જ વાત જાણું : મારા પતિદેવને જેનાથી સુખશાંતિ થાય એ મારો પ્રભુ.’ એકનિષ્ઠ કલ્યાણીએ જવાબ આપો.

‘તો જરાક વધારે કાન માંડીને સાંભળ. કાંઈ સંભળાય છે ?’

‘ના; મને તો તમારા શબ્દ વગર બીજું કાંઈ સંભળાતું નથી.’

‘જીવનભર બબૂચક રહે, કલ્યાણી ! કાંઈક નૃત્ય થતું હોય એવું તને સંભળાતું નથી ?’ રસરોગી પતિ કૌશિકે પત્નીનું ધ્યાન ખેંચી પાસેના શિવમંદિરમાં ચાલતા નૃત્યઝણકાર અને વાદ્યરણકારનું સૂચન કર્યું. કલ્યાણી ચમકી આવા કષ્ટપ્રદ રોગમાં પણ કૌશિકને અસર કરે છે નૃત્યઝણકાર !

‘હા; કાંઈ સંભળાય છે ખરું.’ કલ્યાણીએ કહ્યું.

‘અરે, શું ગમાર જેવી વાત કરે છે ? હું આટલે દૂર રહ્યાં રહ્યાં એ કોનું નૃત્ય છે, અને કોનો સાજ છે, એ કહી આપું. કહે ન કહે પણ આપણા નગરની સર્વશ્રેષ્ઠ નર્તકી કીર્તિદા શિવમંદિરમાં નૃત્ય કરતી લાગે છે. વાહ !’ કીર્તિદાને ત્યાં કરેલી કેટલીયે ધીંગામસ્તી યાદ કરતો પતિ કૌશિક કુષ્ઠરોગના સણકા સહન કરીને ય પોતાનો ભૂતકાળ યાદ કરવા લાગ્યો.

‘હા, આ આજ સોમવાર છે. હું વૈદ્યરાજ પાસે શિવમંદિરમાં ગઈ ત્યારે મેં સાંભળ્યું હતું કે કોઈ નર્તકી શિવમંદિરમાં આવવાની છે.’ કલ્યાણીએ કહ્યું.

‘કલ્યાણી ! તું મારી પત્ની છે, નહિ ?’ પતિએ પૂછ્યું.

‘હા. સૂર્ય અને અગ્નિ સમક્ષ હું આપની પત્ની બની છું. કેમ એમ પૂછવું પડ્યું ? મારી સેવામાં કંઈ ખામી ?’ કલ્યાણી બોલી.

‘ના, ના, ના ! તારી સેવામાં તે ખામી હોય ?’

‘ત્યારે તમે એવો પ્રશ્ન કેમ કર્યો ?’