આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દેહ અને દેહી: ૭૭
 


‘એ શી રીતે ?’ જરત્કારુએ પૂછ્યું.

‘અમારું તપ ચાલે છે ત્યાં સુધી અમારા કર્મના મૂળ પકડી હજી અધ્ધર લટકી રહ્યાં છીએ; તપ ક્યારે ખૂટશે તે કહી શકાતું નથી. પેલો કાળરૂપી ઉંદર અમારા સત્કર્મને કોરી રહ્યો છે. અમારાં સત્કર્મોના મૂળમાં અમારો જ પુત્ર પોતાનાં સત્કર્મરૂપી પાણી રેડી તેમને પ્રફુલ્લિત કરે તો અમે કાળને વટાવી સ્વર્ગે પહોંચી શકીએ. પરંતુ એ તપઘેલો યુવક ગૃહસ્થાશ્રમને યોગ્ય થયો હોવા છતાં હજી પરણતો નથી, એટલે એનું પિતૃતર્પણ એમને પહોંચતું નથી અને આમ ને આમ દુઃખી અવસ્થા અમે ગાળ્યા કરીએ છીએ. અમારી વિનંતી છે કે આપ જરત્કારુને આ સમાચાર પહોંચાડો.’

‘અરે, અરે ! જરત્કારુ તો હું પોતે જ છું ! મને ખબર નહિ કે મારાં માતાપિતાની અજાણતાં મેં આ દશા કરી છે !’ જરત્કારુથી બોલાઈ ગયું.

‘તો દીકરા ! વહેલી તકે પરણી જા. ગૃહસ્થ બન્યા વગર તારું તર્પણ અમને ન પહોંચે.’

જરત્કારુના હૃદયમાં એક વિદ્યુતધક્કો લાગ્યો. શાસ્ત્રપુરાણ વાંચી ચુકેલા એ તપસ્વીને કોઈ વાર ગૃહસ્થાશ્રમનો વિચાર આવ્યો તો હતો જ, પરંતુ તેના તપલોભે તેની પાસે એક ઝડપી માનસ સંકલ્પ પણ કરાવી લીધું હતું : ‘માનવીને ગૃહસ્થાશ્રમ જરૂરી ખરો. પરંતુ હું લગ્ન ત્યારે જ કરું, કે જ્યારે મને મારું જ નામ ધારણ કરનારી પત્ની મળે.’

પરમાત્મદર્શનની ઉત્કંઠામાં એક વાર ગૃહસ્થાશ્રમ યાદ આવતાં તેણે બીજો પણ એક ઝડપી સંકલ્પ કરી લીધો : ‘ગૃહસ્થ બનીને કુટુંબપોષણની જાળમાં હું પડું તો મારી તો પરમાત્મપ્રાપ્તિ કદાચ સ્ખલિત થઈ જાય. કદાચ પરણવું પડે તોપણ હું એવી પત્નીને પરણું કે જે મારા કુટુંબના પોષણનો સંપૂર્ણ ભાર ઉઠાવી લે.’

આજ સુધી તેનું જ નામ ધારણ કરનારી પત્ની મળી ન હતી...અને તેના પોષણની જવાબદારી સ્વીકારે એવી પણ કોઈ