આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રવૃત્તિ
उपदेश अने
चमत्कारो

એમ જણાય છે કે પોતાની પ્રાથમિક સાધના પૂરી થયા પછી ઈશુએ ધીમે ધીમે ઉપદેશ કાર્ય શરૂ કર્યું. યોહાનની માફક તેના પણ શરૂઆતના ઉપદેશ પાપને માટે અનુતાપ કરવાના, જીવનને પવિત્ર બનાવવાના અને પ્રેમથી ઈશ્વરની ભક્તિ કરવાના હતા. શાસ્ત્રો પર જડ શ્રદ્ધા, ધર્મને નામે પાખંડ, ક્ષણિક લાભ માટે બીજાનું નુકસાન કરવાની વૃત્તિ વગેરે જાય નહિ ત્યાં સુધી મનુષ્યની ઉન્નતિ ન થાય એમ તે સમજાવતો. આની સાથે જ શરૂઆતમાં તે રોગીઓને સાજા, આંધળાને દેખતા, બહેરાને સાંભળતા, મૂંગાને બોલતા કરવા, અને મરેલા લાગેલાને ઉઠાડવા વગેરે ચમત્કારો પણ કરતો. આથી એની કીર્તિ ગામેગામ ફેલાઈ, અને ટોળાબંધ મનુષ્યો તેનો ઉપદેશ સાંભળવા આવવા લાગ્યાં.


मंदिरशुद्धि

તેણે યોહાનને હાથે દીક્ષા લીધા તે પછી થોડા જ વખતમાં પેસાહનું પર્વ આવી લાગ્યું. એ પ્રસંગે રિવાજ મુજબ તે યરુશાલેમ ગયો. આ વખતે એણે એક એવું કામ કીધું જેને લીધે પૂજારી વર્ગ તેને પોતાનો દુશ્મન ગણવા લાગ્યો. મંદિરના એક ભાગને તેઓ દુકાનો માંડવા માટે વેપારીઓને ભાડે આપતા. આને લીધે તે ભાગ એક બજાર જેવો બની જતો. તીર્થસ્થાન આ રીતે બજાર બની જાય તે ઈશુથી