પુછે છે કે વિદ્યાસાગરનો આટલો બધો પ્રયત્ન છતાં પુનર્લગ્નના રિવાજનો પ્રચાર કેમ ન થયો? આ પ્રશ્નનો ઉત્તર એમણે પોતે જ પોતાના પુસ્તકમાં આપ્યો છે એ લખે છે કે મને આશા હતી કે
“મ્હને આશા હતી કે કોઈ સંસારિક રિવાજ ને શાસ્ત્રોક્ત સાબિત કરી આપવાથી જ આ દેશના લોકો ત્હેને માની લઈને તે પ્રમાણે વર્તન કરશે. પણ મ્હારો એ વિચાર જતો રહ્યો છે. મ્હને એવી ખબર નહોતી કે આ દેશના લોકો લૌકિક વ્યવહાર આગળ વેદશાસ્ત્ર ને જરા પણ ગણતા નથી” પોતાના એ પુસ્તકમાં વળી એ લખે છે “ધન્યદેશાચાર ! ત્હારો મહિમા અલૌકિક છે તું ત્હારા ભક્તોને ગુલામગીરી ની બેડી પહેરાવીને તેમના ઉપર સ્વતંત્રપણે રાજ્ય ચલાવી રહ્યો છે.”
પ્રકરણ ૮ મું.
સંસાર સુધારાના બીજા કાર્યો.
વિધવા વિવાહનો પ્રચાર થયા પછી તેમનું ધ્યાન બંગાળામાં એ સમયે ચાલતા બીજા દુષ્ટ રિવાજ તરફ આકર્ષાયું. હમે પૂર્વે જણાવી ગયા છીએ કે સ્ત્રી જાતિ પ્રતિ વિદ્યાસાગરને અપૂર્વ ભક્તિ હતી અને ત્હેમના દરેક પ્રકારના સંકટો નિવારણ કરવાની ત્હેમને તીવ્ર ઈચ્છા હતી, સ્ત્રી જાતિ ઉપર થતા અનેક અન્યાયોમાંનો એક મુખ્ય અન્યાય બહુ વિવાહ પ્રચાર — પુરૂષોને એક સ્ત્રીની હયાતીમાં બીજી સ્ત્રી પરણવાની છૂટ–નો છે. આ પ્રથમ એમના સમયમાં બંગાળી કુળવાનોમાં પુરજોસમાં ચાલી રહી હતી. હિન્દુશાસ્ત્ર એવા પ્રકારના નિષ્ઠુર