પેલા બુઢ્ઢા શહેરીઓ આંહીં દર રવિવારે કેદીઓ પાસે ભાષણ કરવા આવે છે. કેદીઓને કામકાજના બદલામાં મહિને પાયલી-બે આની મળે છે તે ખરચાવીને આ બુઢ્ઢાજી ભગવદ્ગીતા ખરીદાવે છે. એ બાપડા રાજના નીમેલા માણસ અને વળી વયોવૃદ્ધ, એટલે એને કેદીઓ અદબ રાખીને સાંભળે છે. ન સાંભળે તો જાય ક્યાં ? ધોકા ખાવા પડે, ખબર છે ?
બુઢ્ઢાજી એક કલાકનો બોધ આપીને ઘેર જાય છે ત્યારે પોતે સમજે છે કે ગંભીર મોઢાં રાખીને દયામણા થઈ ઊભેલા ગુનેગારો સ્વર્ગના વિમાનમાં ચડી જવા જેટલા પુનિત બની ગયા ! ઓ બુઢ્ઢાજી, તમે ભથ્થાના પાંચ રૂપિયા ગજવામાં મૂક્યા એ જ સાચી સિદ્ધિ છે, હો ! બાકીનું બધું તો મૃગજળ છે. તમારા સદ્બોધનાં પુણ્યનીર એ લોકોનાં કલેજાં સુધી ટપકી શકે તે પહેલાં તો પથ્થરોના થરોના થરો ભેદાવા જોઈએ.
ને એ શું તમે ભેદી શકવાના હતા ? પાંચ રૂપિયાનો તમારા કનેથી વેચાતો લીધેલો સદુપદેશ જો તેઓને સુધારી નાખતો હોત તો જેલો જલદી બંધ કરવી પડત. ને ઓ બુઢ્ઢાજી રે ! તેઓ તો એટલા બધા ગમાર છે કે તમારા ઉપદેશના અમૃત કરતાં ક્ષદ્ર બે તોલા મીઠા તેલવાળા શાકની તેઓને વધુ લાલસા રહે છે. તેઓનાં તેલમસાલા તો કંઈ તમારા ઉપદેશ જેવાં થોડાં છે ? તમારા શ્રીમુખમાંથી સરતી સદ્બોધ-ધારા જેમ સીધેસીધી શ્રોતાઓના કાનનાં કાણાંમાં રેડાઈ જાય છે તેમ એ તેલમસાલા પણ કોઠારમાંથી સીધાં તેઓના પેટમાં થોડાં પડે છે ? વચ્ચે કેટલીકેટલી ક્રિયાઓ ચાલે છે તેની તમને ખબર જ નથી ?