આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૪
જયા-જયન્ત
કાશીરાજ : મુજ જીવનની ઓ શકુન્તલા !
- એ પાઠ તે ત્હમે પઢાવ્યા, કે મ્હેં?
- દિલ તો ત્હમે લીધું લૂંટીને.
શેવતી : દિલ દઈને દિલ લીધું છે, રાજેન્દ્ર !
- હવિ વિના મોક્ષ ન હોય.
- શી છે ગિરિદેશની કથા?
કાશીરાજ : દેશ-દેશનો મુગુટ ગિરિદેશ.
- એ દેશનો યે લાવ્યો છું મુગટ,
- ઓ ઉરનાં દેવિ ! તમ માટે.
- રાયરાણીને વલ્કલ દીધાં;
- ને તખ્ત છે તે સૂનાં
- મ્હારાં મનોરાણીજીને કાજ.
શેવતી : રાજેન્દ્ર ! ક્ય્હાં માંડશો
- એ આપણા રાજસિંહાસન ?
- ગિરિદેશમાં કે વારાણસીમાં ?
કાશીરાજ : જ્ય્હાં જગત્ શોભના આદેશ દેશે ત્ય્હાં.
શેવતી : મુગટ માથે શોભે,
- ને મુગટ ઉપર કલગી વિરાજે.
કાશીરાજ : પણ સ્નેહનાં સિંહાસન
- હૃદયની દેવભોમમાં હોય.
- મ્હારી વારાણસી તો છે
- ઓ દેવિ ! આર્યકુલનું હૃદય.
શેવતી : તો રાજેન્દ્ર ! ચાલો ત્ય્હારે,
- જઈશું ત્ય્હાંનાં રાજભવનોમાં ?
કાશીરાજ : આજ નહીં, અક્ષય તૃતિયાએ.
- ઉઘડશે આપણા યે તે દિવસે
- અક્ષય સુખના ભંડાર.