પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૨૮

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૩
 


પ્રકરણ ૩

વાર્તા : ઉન્મેષ અને અભિગમ

સાહિત્યનાં સઘળાં સ્વરૂપોમાં સૌથી વધારે પ્રાચીન સ્વરૂપ ટૂંકી વાર્તાનું છે. ‘હિતોપદેશ’, ‘પંચતંત્રની વાતો’, ‘જાતક કથાઓ’ વગેરેમાં એનાં બીજ દેખાય છે અને તેથી ધૂમકેતુએ નવલિકા પાસે આત્મનિવેદન કરાવતાં કહ્યું છે : ‘હું લગભગ બેત્રણ હજાર વર્ષની મુસાફરી કરતી આવી છું.’ (‘ધૂમકેતુની શ્રેષ્ઠ વાર્તા’ની પ્રસ્તાવના, પૃ. ૧૭), છતાં અર્વાચીન ટૂંકી વાર્તા એ પ્રાચીન ટૂંકી વાર્તાથી સાવ જુદી જ ચીજ છે. એક વિશિષ્ટ કલાપ્રકાર તરીકે, સર્જકની અનુભૂતિની સંક્રાંતિના એક સબળ અને સચોટ માધ્યમ તરીકે આ અર્વાચીન ટૂંકી વાર્તાનો જન્મ ગુજરાતી સાહિત્યમાં તો છેક વીસમી સદીમાં થયો છે.

નવલકથાની જેમ ટૂંકી વાર્તા પણ સપ્તાંગી સૃષ્ટિ છે. વસ્તુ, પાત્ર, સંવાદ, વાતાવરણ, ભાષાશૈલી, રસ અને જીવનદર્શનને અભિવ્યક્ત કરતી આ સપ્તાંગી સૃષ્ટિ સજીવ છે અને એનાં અંગો એકબીજાથી અવિચ્છેદ્ય છે. વિરાટ સૃષ્ટિના જીવનસત્યમાંથી ઉદ્‌ભવતા અને ટકી જતાં આ સત્ત્વોનો સુભગ સમન્વય કરીને એક સુંદર આકાર ટૂંકી વાર્તામાં રચાતો આવે છે અને એમાંથી જ એનું નિરાળું પોત પ્રગટ થાય છે.

ટૂંકી વાર્તાનું અસ્તિત્વ વસ્તુ વિના સંભવી શકે નહીં. વસ્તુની પસંદગી ઉપર જ ટૂંકી વાર્તાની સફળતાનો આધાર રહેલો છે. વસ્તુની પસંદગી માટે વાર્તાકાર પાસે જીવનનું વિશાળ ક્ષેત્ર પડેલું છે. જીવન જેટલું વિશાળ એટલું જ વિશાળ ટૂંકી વાર્તાનું વસ્તુફલક. આવા વિશાળ ફલકમાંથી ટૂંકી વાર્તાનો કર્તા જે વસ્તુ પસંદ કરે છે તે પ્રમાણમાં ટૂંકું અને ચમત્કૃતિભર હોવું જોઈએ. ટૂંકી વાર્તામાં વસ્તુ એ ટૂંકી વાર્તાના શિલ્પને ખડું કરવાની પાલખ છે. અલબત્ત, પહેલાના સમયે ટૂંકી વાર્તામાં વસ્તુની જેવી અનિવાર્યતા હતી એવી અત્યારે નથી. આમ હોવા છતાં નાની કે મોટી ઘટના વગર ટૂંકી વાર્તાની