પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

રોવું, કૂટવું, હાય હાય કરવું સદંતર બંધ કરે.
કરાવે તે પાપના ભાગી.

સૌ. જયાએ હિમ્મતથી વર્તવું. જિંદગી જાત્રા જેવી,
રાજા-મહારાજા જેવી, શ્રીમંત શાહુકાર જેવી ગઈ
છે. પાછળ તે રીતે હસતે મોઢે રહેવું.
સંસારમાં ઓછાને મળે તેવો પુત્ર મને મળ્યો છે.
તેવી વહુ મળી છે. તેવો દીકરો મળ્યો છે.
સહુએ અગરબત્તી જેવું જીવન જીવવું.

(જયભિખ્ખુ પ્રષ્ટિપૂર્તિ સ્મરણિકા ડિસે. ’૭0, પૃ. ૫)
 

ધર્મ અને જય, કરુણા અને માંગલ્ય, સદ્‌ભાવ અને સુખ, પ્રેરણા અને આનંદ આ સર્વ યુગ્મો જીવનસંઘર્ષનાં દ્વન્દ્વયુદ્ધોથી ભિન્ન પડીને સતત ચૈતન્યગતિનો સાક્ષાત્કાર કરાવે છે અને સંઘર્ષની પરિસ્થિતિમાં આનંદ અને આશ્વાસનનાં પ્રોત્સાહક બને છે. જયભિખ્ખુને ઘડનારાં આ પરિબળોએ તેઓને મરણાસન્ન પરિસ્થિતિમાં પણ સુખસંપન્ન રાખ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો બાલ્યકાળથી જ સંઘર્ષ વેઠતો આ માનવી સદા આનંદમગ્ન સ્થિતિમાં રહીને મૃત્યુસમીપ થાય છે ત્યારે ય કશાય ભય-ક્ષોભ વિના મૃત્યુની ચૈતન્ય સ્થિતિને પામવા-ઓળખવાની સજ્જતા ધારણ કરી શકે છે.

આ જ સંદર્ભમાં જયભિખ્ખુના સાહિત્યિક વ્યક્તિત્વનો વિચાર કરીએ તો સદા પ્રસન્ન જીવનનો ધારક આ સર્જક એની સર્જનલીલામાં પણ, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જેવા સમર્થ વિવેચક જેને ‘મુદા’ તરીકે ઓળખાવે છે એવા સાહિત્યિક આનંદની સંતર્પક અનુભૂતિ કરાવે છે.

☯☯☯