પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૦૨

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રકરણ ૬

પ્રતિભાનાં અવનવીન પરિણામો - પ્રકીર્ણ સાહિત્ય

નવલકથા, ટૂંકી વાર્તા, નાટક અને જીવનચરિત્ર જેવાં સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોમાં સર્જનપ્રતિભાનાં આગવાં તેજ પાથરનાર જયભિખ્ખુએ શિષ્ટસાહિત્યમાં, લોકસાહિત્યમાં અને સંસ્કૃતિમાં જે કંઈ વિભૂતિમત્ હોય, શ્રીમત્ હોય અને ઊર્જિત હોય તેનો પ્રાથમિક પરિચય સરલ અને રસમય રીતિએ અપાતું સાહિત્ય પણ સારા એવા પ્રમાણમાં આપ્યું છે. બાળકોના ચારિત્રઘડતરમાં, સંસ્કારસિંચનમાં અને વ્યક્તિત્વવિકાસમાં ઉપયોગી બને એવું આ સાહિત્ય આપણે ત્યાં છેલ્લાં ત્રીસેક વર્ષમાં માતબાર પ્રમાણમાં સર્જાયું છે. ભારતની બીજી કોઈપણ ભાષાના આવા સાહિત્યની આપણે ત્યાં સર્જકોએ સ્મરણીય પ્રદાન કર્યું છે. સાચા અર્થમાં બાળમાનસને પારખીને એ દિશામાં પહેલવહેલું સાચું બાલસાહિત્ય આપ્યું ગિજુભાઈએ. એ પછી બાલસાહિત્યને સમૃદ્ધ કરનારા લેખકોમાં નાનાભાઈ ભટ્ટ, જુગતરામ દવે, નટવરલાલ માળવી, રમણલાલ નાનાલાલ શાહ, રમણલાલ સોની, મનુભાઈ જોધાણી, નાગરદાસ પટેલ વગેરેની સાથે જયભિખ્ખનું પ્રદાન પણ નોંધપાત્ર છે.

જયભિખ્ખુનાં આ પ્રકારનાં સાહિત્યમાં બાળકોમાં સુરુચિ અને ઉમદા રસવૃત્તિ જન્મે એવું બાળસાહિત્ય છે, કિશોરોમાં જિંદાદિલી તથા દેશભક્તિ કેળવાય એનું કિશોરસાહિત્ય છે તેમ પ્રૌઢોને ધર્મબોધની સાથે જીવનરસ ટકાવી રાખવાનું બળ મળે એવું પ્રૌઢસાહિત્ય પણ છે. જયભિખ્ખુનું આ સાહિત્ય એમના જીવનઘડતરમાં ઉપયોગી નીવડે, જીવનનો આનંદ પ્રાપ્ત કરાવે એવું ઉચ્ચ કોટિનું અને સત્ત્વશીલ છે. એમની આ પ્રકારની ઘણી બધી કૃતિઓ ભારત સરકાર કે ગુજરાત સરકારનાં વિવિધ પારિતોષિકો મેળવવાનો પાત્ર પણ બની છે.

જયભિખ્ખુનાં આ પ્રકારનાં સાહિત્યમાં સાહસકથાઓ છે, દંતકથાઓ લોકકથાઓ તેમ જ પ્રાણીકથાઓ અને કહેવતકથાઓ પણ છે. એમાં