પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૨૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આગળ વધારે છે અને ચમત્કૃતિપૂર્ણ રીતે વાર્તાનું સમાપન કરે છે.

આમ, જયભિખ્ખુનું આ સાહિત્ય સંખ્યાષ્ટિએ સમૃદ્ધ છે, રૂપરંગે રઢિયાળું છે, બાલસ્વભાવને અનુરૂપ એવી રચનાઓ એમાં વિપુલ પ્રમાણમાં મળે છે. છતાં એમના બાળસાહિત્યની એક મર્યાદા કઠે પણ છે. એમના બાળસાહિત્યની આટલી મોટી અસાધારણ કહેવાય એવી સંખ્યા હોવા છતાં એમાં બાલકાવ્યો, બાલનાટકો, બાલપ્રવાસો ને બાલપ્રવૃત્તિને લગતા સાચી બાલજિજ્ઞાસાને સંતર્પતાં પુસ્તકોનો અલ્પભાવ જોવા મળે છે. બાળકોને શુદ્ધ વિનોદથી થનગનતા કરી મૂકે એવું સાહિત્ય પણ એમની પાસેથી બહુ મળતું નથી. અલબત્ત, ‘જવાંમર્દ’ શ્રેણીનાં પુસ્તકોમાં એમણે કરેલા પ્રવાસની એ સ્થળોની કેટલીક માહિતી મળે છે ખરી. વળી આબુ, ગિરનાર વગેરે પર્વતો, વડોદરા-અમદાવાદ જેવાં સ્થળો વિષેનાં એમનાં પુસ્તકોએ એ સ્થળનો માહિતીપૂર્ણ રસળતો પરિચય આપે છે પણ જેને શુદ્ધ પ્રવાસસાહિત્ય કે વિનોદસાહિત્ય કહેવાય એવું એમની પાસેથી મળતું નથી. વળી કવિતાના ક્ષેત્રે પણ એમનું પ્રદાન છે નહીં એ રીતે બાળકાવ્યો પણ એમણે સજર્યાં નથી.

બાળકોને મઝા પડે પણ તત્ત્વદર્શનના કે વાસ્તવના અભાવને કારણે જે વ્યવહારજીવનમાં અપ્રગટ રહે એવી પરંપરિત પરીકથાઓ ઇત્યાદિથી તદ્દન ભિન્ન એવું બાલસાહિત્ય, વાસ્તવની ભૂમિકાએ કલ્પનાને ઉત્તેજન મળે એવું કિશોરસાહિત્ય તથા વિવિધ સંદર્ભો દાખવતું પ્રૌઢસાહિત્ય એ જયભિખ્ખુનું પ્રકીર્ણ છતાં ઉલ્લેખનીય સર્જન છે. જીવન વિષેના ચોક્કસ અભિગમથી આસપાસના જિવાતા જીવનમાંથી પ્રાચીન કે ઐતિહાસિક કથાઓના મનનીય અને ચિંતનપ્રેરક પ્રસંગોમાંથી તથા જીવનપોષક કલ્પનાના બળે મનમાં યુવાન તેમ જ પ્રૌઢ વર્ગના સૌ કોઈ વાંચીને કે સાંભળીને પણ માણી શકે એવાં કથાનકો ધરાવે છે. આજના પ્રૌઢશિક્ષણમાં કે શિષ્ટ વાચનમાં ઉપયોગી નીવડે, જીવનલક્ષી માંગલ્ય અને માનવતાનો સંદેશ આપે એવા પ્રકારના આ સાહિત્યમાં જયભિખ્ખુનું શૈલીબળ સાહિત્યિક નિરૂપણની નોંધપાત્ર ક્ષમતા ધરાવે છે.