પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૩૬

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નથી. ‘માણુમોતી’, ‘પાલી પરવાળાં’ ‘બાર હાથનું ચીભડું’ ‘તેર હાથનું બી’ જેવાં મોટા ટાઈપમાં પ્રગટ કરાયેલાં પુસ્તકો આપણને મળ્યાં.

ગુજરાતી પત્રકારત્વને ઝવેરચંદ મેઘાણીએ સાહિત્યરંગી બનાવ્યું. જયભિખ્ખુએ સાહિત્યિક સ્પર્શ ધરાવતી રંગદર્શી શૈલી સાથે પત્રકારત્વ દ્વારા વ્યક્તિઘડતરનું અને માનવમૂલ્યોની હિફાજત કરવાનું કામ કર્યું. સાહિત્યકારો અને પત્રકારો વચ્ચે એક પ્રકારની જુદાઈ કે ખાઈ પ્રવર્તતી હતી તે પણ જયભિખ્ખુએ ઓછી કરી, એટલું જ નહીં પણ બંનેનું આદાન-પ્રદાન એકબીજાને માટે લાભદાયી છે એમ સિદ્ધ કરી આપ્યું.

ગુજરાતનાં માતબર દૈનિકમાં એ લખતાં એમ માતબર માસિક, સામયિકોમાં પણ લખતાં. એમાં સંત ‘પુનિત’નું ‘જનકલ્યાણ’ અને ‘સસ્તુ સાહિત્ય’ અખંડઆનંદ મુખ્ય ગણી શકાય. એ બંને માસિકોનો કોઈ અંક એવો નહીં હોય જેમાં જયભિખ્ખુની એકાદી સાહિત્યકૃતિ, વાર્તા કે લેખ ન હોય. નડિયાદથી પ્રસિદ્ધ થતા ‘ગુજરાત ટાઈમ્સ’માં ‘ન ફૂલ ન કાંટા’ કટાર એ નિયમિત લખતા.

પત્રકાર જયભિખ્ખુની વાત કરીએ છીએ ત્યારે અહીં એક વાત ખાસ નોંધવી જોઈએ કે વર્તમાનપત્રોમાં લખતા મોટા ભાગના લેખકો માત્ર કૉલમ લખીને મોકલી આપતા હોય છે. જયભિખ્ખુ ‘મુદ્રણકળાના પારંગત’ હતા. ગુજરાતની જાણીતી પ્રકાશનસંસ્થા ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયનું ‘શારદા મૂદ્રણાલય’ એ જયભિખ્ખુની કાયમી બેઠક હતી. રોજ એકાદ-બે લેખકો ત્યાં બેસવા આવતા. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનાં પુસ્તકો ત્યાં છપાતાં. પરિણામે લેખકોનાં મિલન-મુલાકાતો અહીં થતાં. પુસ્તકને મુદ્રણકળાના કલા-ઓપ સાથે એ શણગારતા. ટાઈપોલોજી, લેઆઉટ, ગેટપનો સારો એવો મહાવરો અને લાંબો અનુભવ એમને હતો એટલે વર્તમાનપત્રોમાં પોતાની કૉલમનું મેટર મોકલે ત્યારે પણ ‘કેચીહેન્ડીંગ’ અને લેઆઉટ બનાવીને નક્શા સાથે મોકલતા. શબ્દનો શિલ્પી આમ મુદ્રણકળાનો શિલ્પી પણ હતો. શારદા મુદ્રણાલયનું આમ લાંબા સમય સુધીનું સફળ સંચાલન એમના પત્રકારત્વના કાર્ય સાથે સુસંગત અને પૂરક પુરવાર થયું હતું. શારદા મુદ્રણાલયની એ બેઠક એક મજલિસ જેવી બની રહેતી. મસાલાવાળી ચા આવે પછી બાલાભાઈ સોપારી કાતરી આપે, વાતો થતી જાય ને રંગત જામતી જાય.