બેઠક બની રહી. એમ તો અગાઉ એડવાન્સ પ્રિન્ટરી પર પણ બેસતા. પરંતુ શારદા સાથેનો નાતો દીર્ધકાળ રહ્યો. ત્યાં વંચાતું અને લખાતું પણ ખરું ! લેખનનો વેગ વધ્યો. અનેક વ્યક્તિઓ સાથે પરિચય થયો. જોકે એ પાંગર્યો એમની વ્યવહારપટુતાથી. સહુને ઉપયોગી થવાની ભાવના સદૈવ હોય. મિત્રતાના ભાવે અને પ્રિન્ટિંગ કામ પ્રત્યેની સૂઝે શારદા મુદ્રણાલયમાં જતા એ જીવનનો વળાંક હતો. એમની નિષ્ઠાએ – દૃષ્ટિએ મુદ્રણાલય વિખ્યાત થયું. સહકારની ભાવનાએ જયભિખ્ખુ સહુના પ્રીતિપાત્ર બન્યા.
જયભિખ્ખુએ કારકિર્દીનો પ્રારંભ કર્યો પત્રકારત્વથી. એ મુક્ત પત્રકાર - Freelance હતા. આમ તો પત્રકારત્વ એમની જરૂરિયાત બન્યું હતું, કેમ કે કલમના ખોળે જીવવાની ગતિ એમણે અપનાવી હતી. આથી અર્થોપાર્જન માટે આ માધ્યમ અપનાવવું જ પડે. કૉલમલેખક તરીકે સૂઝયું તેવું લખ્યું પણ એમનો આશય હતો સમાજને જાગ્રત કરવાનો. રુચિર અને પ્રેરણાપ્રદ લખીને બહોળા વાચકવર્ગની ચાહના પામ્યા. લોકપ્રિયતાથી એ છલકાયા પણ છક્યા નહીં. મર્યાદામાં રહ્યા અને જીવનને વિવૃત્ત બનાવતા રહ્યા. મન પણ એવું જ.