પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૧૧૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૯૭ ]


સર સૈયદ અહમદ નામના ખાનદાન, જ્ઞાન-પિપાસુ મુસ્લીમ સજ્જને એક વાર સ્વામીજીને પ્રશ્ન કર્યો 'મહારાજ, બીજી વાતો તો ઠીક, પરંતુ થોડાએક હવનથી આખી હવા પવિત્ર બની જાય, એ વાતનો ઘુંટડો મારે ગળે નથી ઉતરતો.'

સ્વામીજીએ સામે સવાલ કર્યો 'સૈયદ મહાશય, આપને ઘેર રોજ કેટલાં માણસોની રસોઇ રંધાય છે ?'

'પચાસથી સાઠની.'

'એટલાને માટે રોજ કેટલી દાળ ઓરો છો ?'

'છ સાત શેર.'

'એટલી દાળમાં હીંગ કેટલી નાખો છો ?'

'બહુ તો રૂપિયા ભાર.'

'એમ કેમ ? એટલી થોડી હીંગ આટલી બધી દાળને શી રીતે સુવાસિત કરી શકે ?'

'બેશક, એ તો કરે છે જ.'

'તો પછી, ખાં સાહેબ, થોડીએક હીંગની માફક થોડોએક હવન પણ ઘણી મોટી હવાને શુદ્ધ કેમ ન કરી શકે !'

મુસ્લીમે કાન પકડીને કબૂલ કરી લીધું.