આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૭૫ ]
પીંજરે પડેલો રાજહંસ ઉઘાડું દ્વાર દેખીને માનસરોવરના પંથ પર ધસવા માંડે તેમ મૂળશંકરે પોતાનાં માતાપિતાના પ્રેમપીંજરમાંથી છૂટીને જે દિવસ સતધામના કેડા ઉપર વેગવંત ડગલાં ભરવા માંડ્યાં હતાં, તે દિવસની આ કથા છે. દિવસ બધો નિર્જન અટવીઓ વીંધતો વીંધતો એ ધસ્યે જાય છે અને રાત્રિએ કોઇ હનુમાનનાં કે દેવીઓનાં ઉજ્જડ મંદિરોમાં લપાઇ રહે છે. ત્રીજે દિવસે માર્ગમાં એને એક સાધુવેશધારી ધુતારાઓનું ટોળું મળ્યું. આ એકલ વિહારનું કારણ પૂછતાં ભગવાં વસ્ત્રો પ્રત્યે પૂજ્યભાવ જોનારા એ બાળકે પોતાનો સાચો મનોભાવ કહી બતાવ્યો.
'જોઈ લેજો આ મહેરબાનને !' સાધુવેશધારીઓએ ટોણો માર્યો, 'ભાઇ સાહેબ જાય છે તો ત્યાગી બનવા, અને શરીર ઉપરથી હજુ સોનાનાં વેઢવીંટી તો છૂટતાં નથી !'
'આ લ્યો ત્યારે, પહેરજો હવે તમે!' એમ કહીને બાળકે પોતાનાં વીંટીઓ અને વસ્ત્રાભરણો ઉતારી એ ટોળીની સામે