આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કે હું અનન્ત યુગનો તરનાર યોગી
જાનાર જે હજુ અનન્ત યુગો તરીને,
તે આમ આજ દુઃખ ને દિનને ગણન્તો,
આંહીં પડ્યો - અરર ! ચેતનહીન છેક ?

હું સ્વપ્નનો અનુભવી નવ જાણતો કૈં,
શંકા પરન્તુ મુજને મુજ સ્વપ્નમાં કૈં,
જીવી શકું ન સુખથી, મરી યે શકું ના,
જાણી શકું ન જગ છે અથવા નહીં આ.

યોગ્ય જે નિરખવું નિરખે છે,
યોગ્ય ના નિરખવું નિરખે શે ?
ઝિન્દગી સમજ તો જીવજે, ને
મૃત્યુનો અનુભવે સુખેથી લે !

૧૨-૨-૧૮૯૭

હું ત્હારો છું

અરે મીઠા આત્મા ! મુજથી કર જે હોય કરવું,
સદાનો ત્‍હારો હું, અરર ! પણ એ ના વિસરવું;
દુઃખે ડોળાયેલી લહરી મુજ હૈયા ઉપરની,
સુવાડું છું તેને પ્રણય અણમૂલો તુજ સ્મરી.

રહી થોડી બાકી તુજ પ્રણયની એક કણિકા,
નહીં ઢોળું તેને ! જીવિત મુજ ઢોળું ક્યમ ભલા ?!
વિનોદે તેને તો હૃદય મુજ આશ્વાસિત કરી
હજુ મીઠાં ગીતો મરણ સુધી હું ગાઈશ, સખિ !

દુઃખોની જ્વાલાથી સુરસ સુખપંખી ફફડશે,
વિચારો સૌ મ્હારા ઝળહળ થતી પાંખ ધરશે;
નભે નાચન્તી તે લહરિ સ્વરનીમાં ભળીશ હું -
તહીં સુધી એવાં મધુર ગીત ગાઈ શકીશ હું.

અહોહો ! એવું કૈં તુજ જિગરનું આ જિગરમાં,
હજો એવું મ્હારૂં કંઈક પણ ત્‍હારા હૃદયમાં;
અરે ! બન્ને વચ્ચે પ્રણય વસતો એક દિવસે,
નિશાની તેની એ તુજ હદયને શું નવ રુચે ?


કલાપીનો કેકારવ/૩૧૭