આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પોતાના રજપૂત એ અતિથિની રીતિ પ્રમાણે નમી
હેતેથી જલનો કરી કળશિયો[૧] લાવે ગૃહે ભાઈને.

તેની ઓસરીએ અતિથિ વીરને બેસારતી આસને,
જાણે એ રજપૂત વીર મળતાં કાંઈ દિલાસો મળ્યો;
જાણે એ ગત બન્ધુ આજ ઘરમાં પાચો ફર્યો સ્વર્ગથી
તેવી એ પગલાં હમીરજી તણાં પૂજે મૃદુ વાણીએ.

એ અર્ધઢાંક્યા મુખને ય જોતાં
હમીરજીને સ્મૃતિ ઉછળે કૈં;
એ યોધના બાલપણાનું આજે
આ સોબતી કો મુખડું દિસે છે.

એ જન્મભૂમિ પર જે વસેલું
માતા તણા લાડ મહીં રમેલું -
એવું કંઈ જાદુ ભરેલ મ્હોં એ
હમીરજીનાં નયનો પલાળે.

ખોવાયેલો સૂર્ય ફરી મળ્યાથી
પૂરાયેલો ભૃંગ ઉડે ફરીથી;
બેડી બધા કાળની તોડી દેતું
એ વીર હૈયું નીકળી પડે છે.

પ્હેલો જ શું ઉત્તમ કાળ આંહીં
શું જન્મતાં ધ્વંસ શરૂ જ થાતો ?!
જાણું નહીં એ : પણ મિષ્ટતા તો -
બાલ્યા તણી છે સ્મૃતિઓ સહુ એ !

અશ્રુ તણું એ પડ બન્ધુનેત્રે
એ બ્હેનને સિન્ધુ બની વહે છે !
નિર્મ્યું દિસે છે વિભુએ અહીં તો
અશ્રુ પરે ઔષધ અશ્રુનું જ !


  1. કોઈક સંગોત્ર વ્હાલું ઘરમાં આવે ત્યારે બ્હેન કે માતા કે તેવા સંબંધના હક્કવાળી સ્ત્રી કળશિયામાં જળ ભરી લાવી અતિથિના માથા પર ફેરવીને તેને ઢોળી દે છે. આગમન વક્કી પછી હોય તો જરા દીર્ઘ ક્રિયા પણ કરવામાં આવે છે. શુભેચ્છા અને સત્કારનું આ સૂચન છે અને "કળશિયો કરવો" એ નામથી જાણીતું છે.


કલાપીનો કેકારવ/૪૦૩