આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અગાડી જોતાં શું અધિક અધિકી છે વિષમતા?
ગયેલી વેળા શું મધુતર હતી આ સમયથી?'

જડાત્મા થાવાને મુજ જીગરમાં હોંશ ઉલટી,
અકારી ભાસી આ જનહ્રદયની જ્ઞાનચિનગી;
ગયાં મ્હારાં નેત્રો જલમય થતાં કૈં વધુ વધુ,
અને ધીમે ધીમે હ્રદય પર મૂર્ચ્છા પણ ઢળી.

ગયો જાણે જીવે ક્ષણ મહીં તજી આ શરીરને,
બન્યો જાણે કોઈ તરુ ઉપરનું બીજ ઉડતું;
પડ્યું ક્યાં એ, ઊગ્યું દ્રુમ પણ બને કાળ વહતાં,
મહેકંતો લાગ્યો વિટપ વિટપે મૉર નવલો.

દ્રુમે સામે બીજે ઝૂકી રહી હતી યૌવન દશા,
હતી તેની સાથે મુજ વિટપને બાથ ભરવી;
હતી ત્યાં મ્હારે આ નવીન રજ મ્હારી અરપવી,
હતી વિશ્રાંતિની ઉલટ ઉર છાયા લઈ દઈ.

'હતું કો કાળે હું જનહ્રદયમાં વાસ વસતું,
કહી, રોઈ, ગાઈ, કંઈક દુઃખ ઓછું ય કરતું.'
સ્મૃતિ એવી તાજી હજી પણ રહી'તી હ્રદયમાં,
હતાં મ્હારાં પર્ણો ખિલખિલ થતાં સૌ દરદમાં.

ન એ આવે પાસે, નવ પ્રિય કને હું જઈ શકું,
વહે વાયુ ઉંધો, નવ રજ સખીને દઈ શકું;
જનોના બંધો શા તુટી પણ શકે બંધ નવ આ,
વળી આ સ્થિતિમાં નહીં જરી દશાનું પલટવું.

ગયા દહાડા વીતી, સ્મૃતિ પણ ગઈ એ ઝળકની,
સહી એ સૌ જાતાં નવીન નવ ઈચ્છા પણ રહી;
રહી અંગે અંગે મુજ શરીરમાં વ્યાપ્ત જડતા,
વહંતાં વર્ષોમાં કશી ય નવ ભાસે નવીનતા.

દિને કોઈ માથે ધડધડ થતી વિદ્યુત પડી.
ગઈ મૂર્ચ્છા, પાછું હ્રદય પણ ત્યાં જાગ્રત થયું;
અહોહો! હું આવો ગતિમય થતાં માનવ ફરી,
પ્રભુની લીલાની ઉપકૃતિ તણું ગાયન કરૂં.


કલાપીનો કેકારવ/૫૨૭